ભરૂચમાં આચાર્યએ વિદ્યાર્થિની પર નજર બગાડી વર્ગખંડમાં જ વાસનાની ભૂખ સંતોષતા આરોપી સામે ચારેકોરથી ફીટકાર વર્ષી રહ્યો છે.
ભરૂચમાં આચાર્યએ વિદ્યાર્થિની પર બગાડી નજર
નાપાસ કરવાની આપતો હતો ધમકી
વર્ગખંડમાં જ સંતોષી વાસનાની ભૂખ
ભરૂચમાં ગુરુ અને શિક્ષકના સંબંધોનો લાંછન લગાડતો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાના આચાર્યએ ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે ક્લાસરૂમમાં જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા પોલીસે નરાધમ આચાર્યની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકી સાથે નરાધમ આચાર્ય પોતાની વાસના સંતોષતો
ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યાલયનો આચાર્ય રાકેશ પરમારએ ધોરણ 9માં અભ્યાસ કરતી એક બાળકીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી કે જ્યારે મામલો પોલીસ મથકે પહોંચ્યો. સરસ્વતી વિદ્યાલયનો કહેવાતો આચાર્ય રાકેશ પરમાર તેની શાળામાં અભ્યાસ કરતી ધોરણ 9ની વિદ્યાર્થિની પર નજર બગડતો હતો અને તેની સાથે નાપાસ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચારતો હતો. જે વર્ગખંડમાં બાળકોને શિક્ષાના પાઠ ભણાવવામાં આવતા હતા એ જ વર્ગખંડમાં આ બાળકી સાથે નરાધમ આચાર્ય પોતાની વાસના સંતોષતો હતો.
દુષ્કર્મ અને પોકસો એક્ટની વિવિધ કલમો હેઠળ નોંધાયો ગુનો
વારંવાર થતી આવી હરકતોથી ગભરાય ગયેલ બાળકીએ સમગ્ર ઘટનાની જાણ પોતાની બહેનને કરી હતી અને ત્યારબાદ પરિવારજનોએ જાણ કરતા અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા સમજી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે આરોપી આચાર્ય વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ગણતરીના સમયમાં જ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.