વડતાલ સ્વામીનારાયણ મંદિર બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષ દ્વારા બહિષ્કાર બાદ ડૉ.સંત વલ્લભ સ્વામીનું નિવેદન
ખેડા વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણી
'ચૂંટણી યોગ્ય માહોલમાં થઈ રહી છે'
આચાર્ય પક્ષે ચૂંટણીનો કર્યો છે બહિષ્કાર
વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. 94 બૂથ પર સાંજે 5.30 સુધી 47 ટકા મતદાન થયું થયું છે. દેવપક્ષે મતદાન બાદ ચૂંટણીમાં જીતનો દાવો કર્યો છે. 16 માર્ચે મત ગણતરીની કામગીરી હાથ ધરાશે. અગાઉ દેવપક્ષના 3 આગેવાનો બિનહરીફ થયા હતા. વડતાલ બોર્ડની કુલ 7 પૈકી 3 સીટ બિનહરીફ થઈ છે.
ખેડા વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષે બહિષ્કાર કર્યો છે. તો આ વિવાદ મુદ્દે દેવ પક્ષના ડૉ. સંત વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું છે. સ્વામીએ કહ્યું કે, હાલ ચૂંટણી યોગ્ય માહોલમાં થઈ રહી છે. ચુસ્ત બંદોબસ્ત અને ગાઈડલાઈન સાથે ચૂંટણી યોજાઈ રહી છે. જે પક્ષ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો તે અંગે તે લોકો જ જવાબ આપી શકે. નામ કમી થયાના આક્ષેપને લઈ તે લોકો જ વધુ જણાવી શકે છે. હાલ મેટર સુપ્રીમમાં ચાલી રહી છે એટલે કંઈ ન કહી શકાય.
વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં સૌ પ્રથમ સિદ્વાંતપક્ષે બહિષ્કારની જાહેરાત કરી હતી. જે બાદથી ચૂંટણીમાં ગરમાવો જોવા મળ્યો હતો. મતદાન સવારે 7.30થી થઈ સાંજે 5.30 સુધી રહેશે. વડતાલ, સુરત, રાજકોટ, મુંબઈ, જલગાવ અને કુક્ષીમાં યોજાનાર મતદાનમાં વડતાલ સંસ્થાના 72 હજાર ભક્તો મતદાનનો ઉપયોગ કરશે.
16 માર્ચે મતગણતરીની કામગીરી
મતદાન બાદ 15 માર્ચે મતપેટીઓ વડતાલ લાવવમાં આવશે અને 16 માર્ચે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. વિજેતા થયેલ ટીમ વડતાલ મંદિર અને તાબાના મંદિરોનો વહિવટ સંભાળશે.
11 ઉમેદવારો મેદાનમાં
ઉલ્લેખનીય છે કે, હાલ 11 ઉમેદવારો મેદાનમાં છે અને પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે પરંતુ તે પહેલા સિદ્ધાંત પક્ષના ઉમેશ કનુભાઇ અમીન, જગદીશ શંભુભાઈ, નારાયણ કાનજીભાઈ ભરવાડ અને ભરત અમીને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
ઉમેદવારે કર્યો મોટો દાવો
ચૂંટણીનો બહિષ્કાર કરનારા ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાઈ રહી નથી. વડતાલ મંદિરની વેબસાઈટ ઉપર અમુક ઉમેદવારો પ્રચાર કરે છે તે નિયમ વિરુદ્ધ છે.