રાજ્ય સરકારના દાવા વિરુદ્વ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નિવેદન આપતા જણાવ્યું કે, 'કોરોનામાં ઓક્સિજન સિલિન્ડર ન મળતા લોકોના મોત થયા.'
રાજ્ય સરકારના દાવા વિરુદ્વ રાજ્યપાલનું નિવેદન
કોરોનામાં ઓક્સિજન સિલિન્ડર ન મળતા લોકોના મોત થયા: રાજ્યપાલ
ડોક્ટરે સિલિન્ડર આપ્યા તો બદલામાં હજારો રૂપિયા લીધાઃ રાજ્યપાલ
ગુજરાતમાં હવે કોરોનાના કેસો ધીરે-ધીરે મંદ પડી રહ્યાં છે. રાજ્યમાં સંક્રમણ ઘટતા લોકો હાંશકારો અનુભવી રહ્યાં છે. પરંતુ હજુ પણ જ્યારે ગુજરાતની જનતા કોરોનાની બીજી લહેરને યાદ કરે છે ત્યારે તેમનામાં એક ડર ઊભો થઇ જાય છે. કારણ કે કોરોનાની બીજી લહેર ક્યારેય ના ભૂલી શકાય તેવી લહેર હતી. કે જેમાં લોકોને ઓક્સિજનના ફાંફા પડી જતા હતાં. ત્યારે તાજેતરમાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એવું નિવેદન આપ્યું છે કે જે સૌ કોઇને ચોંકાવી મૂકે તેવું છે. રાજ્યપાલે રાજ્ય સરકારના દાવા વિરુદ્વનું નિવેદન આપ્યું છે.
કોરોનામાં ઓક્સિજન સિલિન્ડર ન મળતા લોકોના મોત થયા: આચાર્ય દેવવ્રત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્ય સરકારના દાવા વિરૂદ્ધ નિવેદન આપતા જણાવ્યું કે, 'કોરોનામાં ઓક્સિજન સિલિન્ડર ન મળતા લોકોના મોત થયા છે. ડોક્ટરે સિલિન્ડર આપ્યા તો બદલામાં હજારો રૂપિયા લઇ લીધા.' મહત્વનું છે કે, રાજ્ય સરકારનો એવો દાવો છે કે, ઓક્સિજનની અછતથી કોઇનું પણ મોત થયું નથી.
ઓક્સિજનની કમી ન આવી હોવાનો આરોગ્યમંત્રી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, હજુ એકાદ મહિના પહેલાં જ આરોગ્ય વિભાગની માંગણીઓ પર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, 'ગત વર્ષની તુલનાએ આ વર્ષે બજેટમાં 996 કરોડ વધુ ફાળવવામાં આવ્યા છે. ઓક્સિજનની કમી ન આવી હોવાનો આરોગ્યમંત્રી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. ઓક્સિજનના અભાવે એકપણ મૃત્યુ નથી થયું. ચૂંટણીનું વર્ષ હોવાથી કોંગ્રેસ ખોટી રજૂઆતો કરી રહ્યું છે તેવો પણ આરોપ મુકાયો હતો. વધુમાં કહ્યું હતું કે વિપક્ષ દ્વારા લાગણીઓથી ગુજરાતને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. બીજી લહેર બાદ ઓક્સિજનની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રીજી લહેરમાં કોઇ અવ્યવસ્થા સર્જાઇ નથી. ભૂતકાળમાં વેક્સિન વિદેશથી મંગાવવામાં આવતી હતી.'
પ્રથમ લહેરમાં 63 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી
બીજી લહેરમાં 74 ટકા દર્દીઓને ઓક્સિજન જરૂર પડી
ત્રીજી લહેરમાં માત્ર 23 ટકા લોકોને પડી ઓક્સિજનની જરૂર
વિજય રૂપાણીએ પણ ઓક્સિજનની અછતથી કોઇનું પણ મોત નહીં થયું હોવાનો કર્યો હતો દાવો
ઉલ્લેખનીય છે કે, તત્કાલિન સીએમ વિજય રૂપાણીએ પણ જે-તે સમયે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં ઓક્સિજન ના પહોંચ્યો હોય અને દર્દીઓ મૃત્યુ પામ્યા હોય તેવો એક પણ બનાવ બન્યો નથી.'