પતંજલિ યોગપીઠના CEO આચાર્ય બાલકૃષ્ણને હાર્ટ અટેક આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. અચાનક આવેલા હાર્ટ અટેકને પગલે તેમને ઋષિકેશ ખાતે રહેલી એઇમ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યા છે.
આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ, પતંજલિ યોગપીઠના CEO આચાર્ય બાલકૃષ્ણની તબિયત અચાનક ઓફિસમાં લથડી હતી. જેના પગલે સ્થાનિક ભુમાનંદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરની સલાહ મુજબ તેમને તાત્કાલિક અસરથી ઋષિકેશની એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભુમાનંદ હોસ્પિટલના ડો. આકાશે જણાવ્યું કે, આચાર્ય બાલકૃષ્ણને બેભાન હાલતમાં દવાખાને લાવવામાં આવ્યા હતા.
ડો. આકાશે વઘુમાં જણાવ્યું હતું કે, આચાર્ય બાળકૃષ્ણને હ્રદય રોગ સંબંધિત કોઇપણ પ્રકારની તકલીફ જોવા મળી નથી. જ્યારે તેમને ભુમાનંદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ દર્દના કારણે બેભાન થઇ ગયા હતા. પ્રાથમિક સારવાર દરમિયાન તેઓ વચ્ચે-વચ્ચે જવાબ આપી રહ્યા હતા.
જો કે, તેઓ એ જણાવી શકતા નહોતા કે દર્દ ક્યાં થઇ રહ્યું છે. તેમને આ તકલીફ જમતી વખતે થવા લાગી અને અચાનક ઢળી પડ્યા. સ્થાનિક ડોક્ટરે એમ પણ જણાવ્યું કે, તેમની સ્થિતિને જોતા તેમને ન્યુરો ફિઝિશિયન અથવા ન્યુરો સર્જનની જરૂર પડી શકે છે.