અમદાવાદમાં જેલમાંથી છૂટેલા આરોપીએ ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. જેમાં રામોલમાં રહેતા અને રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા ઇરફાન વોરાએ જિશાન ઉર્ફે દત્તા માજિદભાઈ મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આજથી પાંચ મહિના પહેલાં ઈરફાનની સોસાયટીમાં રહેતા મિત્ર ઈસ્માઈલ સૈયદે તેનું સ્કૂટર વેચવાનું હોવાથી તેને વાત કરી હતી. જેથી ઇરફાને સ્કૂટર લે વેચ કરનાર બબલુને જાણ કરી હતી. બબલુના કહેવાથી શાહઆલમમાં રહેતા જિશાન મેમણે ઇરફાનને સ્કૂટર આપ્યું હતું. ત્યારબાદ તેને રૂપિયા આપ્યા ન હતા. તે જ્યારે રૂપિયાની વાત કરતો હતો ત્યારે જિશાન વાયદા કરતો હતો.
ફોન કરી યુવાનને બોલાવ્યા બાદ બબાલ
એક મહિના બાદ ઇરફાન અને બબલુ શાહઆલમ ખાતે રૂપિયા લેવા માટે ગયા હતા. તે વખતે જિશાન મળ્યો ન હતો. વીસ દિવસ પછી ઇરફાન જિશાનના ઘરે ગયો ત્યારે જાણ થઇ કે જિશાન જેલમાં છે. થોડા દિવસ પછી ઇરફાનને ખબર પડી જેલમાંથી જિશાન આવી ગયો છે. ગઈ કાલે રાતે ઇરફાન અને તેનો મિત્ર પાન પાર્લર પર ઊભા હતા. ત્યારે મદનીનગર ખાતે રહેતો વકીલખાન ઇરફાન પાસે આવ્યો હતો. તેણે ઇરફાનને કહ્યું હતું કે જિશાન જેલમાંથી છૂટી ગયો છે જેથી તેને અહીં બોલાવું છું. આપણે રૂપિયા બાબતે વાત કરી લઈએ. તેમ કહીને જિશાનને ફોન કરી બોલાવ્યો હતો.
હું કોણ છું તું મને ઓળખશ?
ઇરફાન અને તેના મિત્રો ત્યાં હાજર હતા. તે વખતે જિશાન તેમના સાગરીત સાથે આવ્યો હતો. જિશાને ઇરફાનને કહ્યું સ્કૂટર ક્યાં છે. તું મને ઓળખતો નથી હું કોણ છું. તેમ કહેતાં ઇરફાને સામે જવાબ આપ્યો કે તું સ્કૂટર લઈ ગયો હતો પણ રૂપિયા આપતો ન હતો. જેથી હું સ્કૂટર લઇ આવ્યો છું અને તે મેં વેચી દીધું છે. તેમ કહેતાં જિશાન ઉશ્કેરાઈ ગયો હતો. જિશાને ઇરફાનને જોરદાર લાફો મારી દીધો હતો. ત્યાર બાદ છરી જેવું હથિયાર જિશાને કાઢતાં ઇરફાન ત્યાંથી ભાગી ગયો હતો. જિશાને તેની પાસે રહેલી રિવોલ્વરથી ઇરફાન પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી. જોકે આ દરમિયાનમાં આજુબાજુના માણસો ભેગા થઇ જતાં જિશાન અને તેના સાગરીત કારમાં બેસી નાસી ગયા હતાં. જિશાન ફરીથી મારવા આવશે તેવા ડરથી ઇરફાન સુરતી સોસાયટીમાં જતો રહ્યો હતો.દરમિયાનમાં પોલીસ ઘટના સ્થળે આવી જતાં ઇરફાને જિશાન મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.