અમદાવાદના ધંધુકામાં માલધારી યુવકની થયેલ હત્યા મામલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીઓને દબોચી લીધા છે.
માલધારી યુવકના હત્યારાઓની પોલીસે કરી ધરપકડ
યુવકની હત્યાને લઈ ધંધુકામાં ફેલાયો હતો રોષનો માહોલ
ગણતરીના કલાકોમાંજ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
અમદાવાદના ધંધુકામાં માલાધારી યુવકના હત્યાને લઈને ભારે રોષનો માહોલ ફેલાયો હતો. જોકે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ એકશનમાં આવી ગઈ હતી. જેથી પોલીસે આ મામલે હત્યાને અંજામ આપનારા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમને તેમની કરતૂતને કારણે આજે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.
VHPએ ઉગ્ર આંદોલની આપી હતી ચિમકી
યુવકની હત્યાનો મામલો હવે ઉગ્ર બની ગયો હતો જાય છે. આ મામલે હવે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધનું એલાન જાહેર કરી દેવામાં આવ્યું હતું. સાથેજ આ ઘટનાને લઈને લોકો પણ બંધનું સ્વયંભૂ પાલન કરી રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મામલે એવી માગ કરવામાં આવી હતી કે હત્યા કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં આવે. સાથેજ તેમણે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો યુવકના હત્યારાઓને 3 દિવસમાં ઝડપી પાડવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
લોકોમાં રોષનો માહોલ હતો
હત્યાના બનાવને લઈને સમગ્ર ધંધુકા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. લોકોમાં ક્યાંકને ક્યાંક રોષનો માહોલ ફેલાયો હતો. ધંધુકાના રોડ રસ્તા સવારથી આજે સમૂસામ જોવા મળ્યા હતા. જાણેકે અહીયા ફરીથી લોકડાઉન લાગી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.. સાથેજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 3 દિવસમાં જો આરોપીઓ નહી ઝડપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
યુવકે સોશિયલ મીડિયામાં ધર્મ વિરુદ્ધ કરી હતી વિવાદીત પોસ્ટ
યુવકની હત્યાને લઈ પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે થોડા દિવસ પહેલા મૃતક કિશને એક ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી.જેની અદાવત રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે. કારણકે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી. જોકે બાદમાં કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા. પણ કિશન ત્યારથી જ તેના ઘરે હતો પરંતુ ગઈકાલે તે ઘરેથી નીકળ્યો ત્યારે મોકાનો લાભ લઇ તેની હત્યા કરવામાં આવી હતી.
વહેલી સવારથી ધંધુકા આજે સજ્જડ બંધ
આજે વહેલી સવારથી જ ધંધુકા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેને લઈને જિલ્લાનું પોલીસતંત્ર હરકતમાં આવી ગયું હતું. અને ધંધુકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકા ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા અને તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા હતાં. જેમણે આવતાની સાથેજ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઉલ્લેખનીય છે કે મૃતકન યુવકની હત્યાને પગલે મામલો ઉગ્ર બન્યો હતો. મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકો રોષે ભરાયા જોકે પોલીસે આગેવાનો ની મદદ લઇ મામલો થાળે પાડ્યો. સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે બેઠક થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો અને હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિ કરવાનું પોલીસે આયોજન કર્યું. જોકે હાલ તો પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.