જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની હત્યાના મામલે વધુ આરોપીઓ ઝડપાયા છે. 3 વર્ષ અગાઉ જામનગર તેમની જાહેરમાં હત્યા થઇ હતી. આ 3 વર્ષથી ફરાર આરોપીઓ કોલકાતાથી ઝડપાયા છે. જામનગર પોલીસે 3 આરોપીઓ હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવી પકડી પાડ્યા છે. જેમાં હાર્દિક ઠક્કરે હુમલો કરીને વકીલની હત્યા નિપજાવી હતી.
જયારે દિલીપ ઠક્કર સ્થળ પર દેખરેખ રાખવા માટે ઉભો રાખ્યો હતો. જયારે જયંત ગઢવીએ આ બંને આરોપીઓને પિક-અપ કરવા તૈયાર હતો. ત્યારબાદ આ ત્રણેય આરોપીઓ વારદાતને અંજામ આપીને રાજકોટ ફરાર થઇ ગયા હતાં. આ ઘટના માટે ભૂમાફિયા જયેશ પટેલે ત્રણેય આરોપીઓને સોપારી આપી હતી. તેમને હત્યા માટે રૂપિયા 2 કરોડની જયેશ પટેલે સોપારી આપી હતી. અત્યાર સુધી આ હત્યા કેસમાં 9 આરોપીઓ ઝડપાયા છે. જેમાં મુખ્ય આરોપી જયેશ પટેલ પણ લંડનથી ઝડપાયો છે.
મુખ્યઆરોપી જયેશ પટેલની લંડનમાંથી ધરપકડ
કિરીટ જોશીની એપ્રિલ, 2018માં હત્યા કરાવ્યા બાદ દુબઇ ભાગી ગયેલા કુખ્યાત જમીન માફિયા જયસુખ મૂળજીભાઈ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ લંડનથી ઝડપાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જમીન માફિયા જયેશ પટેલને આજે લંડન કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભારત લાવવા માટે કોર્ટમાં મંજૂરી માંગવામાં આવશે.
કોણ છે જયેશ પટેલ?
જયેશ પટેલ વકીલ કિરીટ જોશીની હત્યાનો મુખ્ય આરોપી છે. સૌથી પહેલા વિશાલ માડમ સાથે ભૂમાફિયાગીરી શરૂ કરી હતી. ટૂંકાગાળામાં જ જયેશ પટેલ માલેતુજાર બની ગયો હતો. જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડ જયેશ પટેલના નામે છે. જમીન પચાવી પાડવી, ખંડણી, અપહરણ હત્યા સહિતના અનેક ગુનાઓ તેના નામે છે. અલગ અલગ કેસમાં 40થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં હત્યા કરી હતી.
વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની ચપ્પાના ઘા મારીને હત્યા કરાઈ હતી. કિરીટ જોશી હત્યા કેસમાં સાક્ષીઓને જયેશ પટેલે ધમકી આપી હતી. વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઈ ગયો હતો. અત્યાર સુધીમાં તેના અનેક સાગરિતો જેલ હવાલે થઈ ચૂક્યા છે. કિરીટ જોશીની હત્યા મામલે અગાઉ 3 સાગરિતોની ધરપકડ થઈ ચુકી છે. 2018માં અમદાવાદના 2, રાજકોટથી 1 એમ કુલ 3 સાગરિતોની ધરપકડ થઈ હતી.