7 વર્ષીય બાળકનું દુકાનદાર રાજેશ જગોદરાએ કર્યુ હતું અપહરણ
મોરબી નજીકના ઘૂંટુ ગામે મામાના ઘરે આવેલા ભાણેજના અપહરણનો ભેદ ઉકેલાઇ ગયો છે. 7 વર્ષીય બાળકનું દુકાનદાર રાજેશ જગોદરાએ અપહરણ કર્યું હતું. ત્યારે ગુમ થયેલા બાળકને શોધી કાઢી પોલીસે બાળકને તેના પરિવારને સોંપી દીધું છે. મોરબી અને જામનગર LCBએ બાળકને શોધી કાઢ્યો છે.
મંત્રી બ્રિજેશ મેરજાએ બાળકને શોધવા પોલીસને કર્યા હતાં આદેશ
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી LCBને આ બાળક મળી આવ્યું. બાળકને છોડાવીને LCBએ અપહરણ કરનાર શખ્સને દબોચી લીધો. જણાવી દઇએ કે, મંત્રી બ્રિજેશ મેરજાએ બાળકને શોધવા માટે પોલીસને આદેશ કર્યા હતાં.
મોરબીના ઘૂંટુ ગામે 7 વર્ષના બાળકનું અપહરણ થયું હતું
ઉલ્લેખનીય છે કે, મોરબી નજીકના ઘુંટુ ગામ પાસે ઉમા રેસિડેન્સીમાં રહેતા અને મૂળ માળીયા (મિં.) તાલુકાના નાની બરાર ગામના રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયા નામના 33 વર્ષીય યુવાને તેની સોસાયટીની બાજુમાં આવેલી હરિઓમ સોસાયટીમાં બાલાજી પાન નામે દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઈ જગોદરા પટેલ વિરુદ્ધ ફરિયાદીના ભાણેજ પર્વના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના મોટા બહેનનો દીકરો પર્વ ભાવેશભાઈ વિડજા પોતાના ઘરે આવ્યો હતો. પિતા ભાણેજ પર્વને લઇને બાજુની સોસાયટીમાં આવેલ બાલાજી પાન વાળા રાજેશભાઈ ચંદુભાઇની દુકાને ગયા હતાં. દરમ્યાન ઘરેથી ફોન આવતા ફરિયાદીના પિતા શામજીભાઇ ભાણેજ પર્વને દુકાને બેસાડીને ઘરે ગયા હતા અને પરત દુકાને જઇને જોતા હતા ત્યાં દુકાન બંધ હતી અને ભાણેજ પર્વ પણ ત્યાં ન હતો.
મામાએ દુકાનદાર રાજેશ ચંદુ જાગોદરા સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી
બાદમાં દુકાનવાળા રાજેશભાઈના પત્નીને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, તેના પતિ રાજેશભાઈ કપડા સીવડાવવા માટે ગયા છે અને પર્વને સાથે લઈ ગયા છે. પરંતુ ઘણા લાંબા સમય સુધી રાજેશભાઈ કે પર્વનો કોઈ પત્તો ન લગતા શામજીભાઈએ તેના દીકરા રાજેશભાઈને આ બનાવની જાણ કરી હતી. આથી તેના ભાણેજને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ ભાણેજ કે દુકાનદાર ન મળી આવતા તાલુકા પોલીસ સ્ટેશને રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયાએ તેના ભાણેજનું અપહરણ કરવામાં આવ્યું હોવાની દુકાનદાર રાજેશ ચંદુ જાગોદરા સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.