ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ હવામાન વિભાગ દ્વારા વધુ આગાહી કરાઈ છે. આગામી 28 અને 29મીએ વરસાદ પડી શકે છે. તો બીજી તરફ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તો કૂનો નેશનલ પાર્કથી ફરી એકવાર દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. નવા સંસદ ભવનનાં ઉદ્ધાટન સમારોહનો કોણ કરશે બહિષ્કાર.
અમદાવાદ એરપોર્ટ પર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું આગમન થયું હતું. જેના આગમનને વધાવવ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લાંબા સમયના વિવાદ બાદ ગતરોજ બાગેશ્વર ધામના શાસ્ત્રી ગુજરાત આવી પહોંચ્યાં હતા અને તેઓ કોંગ્રેસ નેતા અરવિંદ ચૌહાણના ઘરે મહેમાન બન્યા હતા. મહત્વનું છે કે ગતરોજ વટવા ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી દેવકીનંદન ઠાકુરજીની કથામાં પ્રવચન આપવા કથા સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં પ્રવચન શરુ થયું છે.
ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા અગાઉની પરીક્ષા અંગે મહત્વની જાહેરાત કરી છે. જેમાં જણાવ્યું છે કે જાહેરાત ક્રમાંક 206.207.208 અને 209ની પરીક્ષા જુનનાં અંતમાં યોજાશે. ત્યારે લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારોની રાહનો અંત આવ્યો હતો. એક પરીક્ષાને બદલે અલગ અલગ 4 પરીક્ષા લેવાશે. જ્યારે CPT પરીક્ષા લેવાશે નહી.
કમોસમી વરસાદને લઇને વધુએ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હવામાન વિભાગ દ્વારા વધુ આગાહી કરાઈ છે. જે મુજબ આગામી 28 અને 29મીએ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ મોકાણ સર્જી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ તેવી પણ શકયતા સેવવામાં આવી રહી છે. વરસાદને લઈને આકરા તાપમાંથી રાહત મળી શકે તેમ છે. પરંતુ નવી ઉપાડી જન્મે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લગ્નપ્રસંગમાં DJ પર પ્રતિબંધની માંગ કરતા જણાવ્યું હતું કે, રાતે તમે ડીજે વગાડો એ નાચવાવાળા સંસ્કૃતિ વિરુદ્ધના ગીતો ગાય, કલાકારો રાતના 2 વાગ્યા સુધી નાચે, કલાકારોના કાર્યક્રમોમાં આમંત્રણ આપેલા લોકો આવે અને આમંત્રણ ન આપેલા લોકો પણ આવે છે. સૌથી ખરાબ ઘટનાઓ અને નાસી જવાની ઘટનાઓ બનતી હોય તો ક્યાંકને ક્યાંક DJ જ જવાબદાર છે. તેમણે જણાવ્યું હતું કે, જે સમાજ દીકરીઓની આબુરું-સુરક્ષા ઇચ્છતા હોય એ મહેરબાની કરીને પ્રસંગોમાં DJ ન લાવે. સાથે જ નવયુગલ પતિ-પત્ની કમાતા ન થાય ત્યાં સુધી પોતાના ઘરે પારણું ન બાંધે તેવી અપીલ ગેનીબેન ઠાકોરે કરી હતી..
2024 ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગત રોજ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં 8 મહાનગરના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકના બીજા જ દિવસે 3 જીલ્લા અને 1 શહેરનાં પ્રમુખોની બદલી કરવામાં આવતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. ત્યારે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ધોલરીયાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે શહેર પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિમણૂંક કરવામાં આવી છે.
રાજકોટમાં આગામી દિવસોએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. જેને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, વિજય રૂપાણીએ દિવ્ય દરબારનાં કાર્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. રાજ્યભરમાંથી અંદાજે 9.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. આ વખતે ધોરણ10નું 64.62% પરિણામ જાહેર થયું છે. જો ગુજરાતના જિલ્લા મુજબ વાત કરી તો સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45% પરિણામ, દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75% પરિણામ, બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 95.92% પરિણામ, નર્મદાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94% પરિણામ, અમદાવાદ શહેરનું 64.18% પરિણામ, અમદાવાદ ગ્રામ્યનું 65.22% પરિણામ, રાજકોટ જિલ્લાનું 72.74% પરિણામ, વડોદરા જિલ્લાનું 62.24% પરિણામ આવ્યું છે. ખાસ જણાવી દઈએ કે વર્ષ 2022નું તુલનાએ 0.56 % ઓછું પરિણામ આવ્યું છે.
લોકસભાની ચૂંટણીને બરાબર એક વર્ષની વાર છે. મે 2024માં દેશમાં લોકસભાની ચૂંટણી થશે પરંતુ પહેલા નરેન્દ્ર મોદીના ત્રીજી વાર પીએમ બનવાની ચર્ચા શરુ થઈ છે. ગઈ કાલના એક સર્વમાં પણ નરેન્દ્ર મોદીને ત્રીજી વાર સત્તા મળશે તેવું કહેવાયું હતું અને હવે અમિત શાહે પણ આવો જ દાવો કર્યો છે.
કૂનો નેશનલ પાર્કથી ફરી એકવાર દુ:ખદ સમાચાર આવી રહ્યાં છે. નામીબિયાથી કૂનોમાં આવેલા ચિત્તાનાં વધુ 2 બચ્ચાઓનું મોત થયું છે .આ પહેલાં 23 મેના રોજ પણ એક બચ્ચાંનું મોત થયું હતું. હાલમાં જ જ્વાલા નામની માદા ચિત્તાએ 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો જેના બાદ એક બચ્ચાનું મોત થયું હતું. આ સ્થિતિને જોતાં બાકીનાં 3 ચિત્તાઓ અને માદા ચિત્તા જ્વાલાને વાઇલ્ડલાઇફ ડૉક્ટર્સ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીમાં 3 ચિત્તાઓ અને 3 ચિત્તાનાં બચ્ચાઓનું મૃત્યુ કૂનો નેશનલ પાર્કમાં થઈ ચૂક્યું છે.
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત વધુ લથડી છે. હવે તેને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાંથી એલએનજેપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને LNJP હોસ્પિટલમાં ICUમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તિહાર જેલ પ્રશાસનના સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે 6 વાગ્યે સત્યેન્દ્ર જૈન લપસીને CJ-7 હોસ્પિટલના MI રૂમના બાથરૂમમાં પડી ગયા હતા, જ્યાં સામાન્ય નબળાઈને કારણે તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ પછી ડોક્ટરોએ તેની તપાસ કરી. પીઠ, ડાબા પગ અને ખભામાં દુખાવાની ફરિયાદ બાદ તેને ડીડીયુ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
કર્ણાટકના પૂર્વ ડીજીપી પ્રવીણ સૂદે ગુરુવારે (25 મે) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના નવા ડાયરેક્ટરનો ચાર્જ સંભાળી લીધો છે. સૂદ 1986ની બેચના આઈપીએસ અધિકારી છે. સરકારે રવિવારે બે વર્ષ માટે સૂદની સીબીઆઈ ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરી હતી.
ભગવંત માનની સુરક્ષા વ્યવસ્થા હેઠળ સીઆરપીએફના જવાનોને તૈનાત કરવામાં આવશે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સી આઇબીના અહેવાલ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ભગવંત માનને ઝેડ પ્લસ સુરક્ષા કેટેગરી આપવામાં આવી છે. સરહદી રાજ્ય હોવાથી પંજાબમાં ખાલિસ્તાની ગતિવિધિઓ વધી રહી છે તેમજ ગેંગવોર પણ થઈ રહ્યાં છે આથી કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ ભગવંત માનની સુરક્ષા વધારવાનું કેન્દ્ર સરકારને જણાવ્યું હતું જે પછી સરકારે આ નિર્ણય લીધો હતો.
બોલીવુડનાં 60 વર્ષીય એક્ટર આશીષ વિદ્યાર્થીએ ગુરુવારે ગુપચુપ રીતે લગ્ન કર્યાં છે. મળેલ માહિતી અનુસાર આશીષ વિદ્યાર્થીએ અસમની રૂપાલી બરુઆ સાથે લગ્ન માંડ્યા છે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર ગુરુવારનાં દિવસે તેમણે કોલકત્તાનાં એક ક્લબમાં ફેશન આંત્રપ્રેન્યોર રૂપાલી બરૂઆ સાથે લગ્ન માંડ્યા છે. એક્ટરનાં પહેલા લગ્ન અભિનેત્રી શકુંતલા બરૂઆની પુત્રી રાજોશી બરુઆ સાથે થયાં હતાં.