દેશ એક બાજુ અધતન ટેકનોલોજીથી આગળ વધી રહ્યો છે. જ્યારે બીજી બાજુ આજે પણ એવી અનેક જગ્યા છે જ્યાં અંધશ્રદ્ધા જોવા મળે છે. મહેસાણાથી પાટણ જતા રોડ પર એક નાની દેરી છે. પ્રથમ દ્રષ્ટિએ તો આ કોઇ ભગવાનની દેરી હોય તેવુ લાગે છે.
પરંતુ હકીકત જુદી છે લોકો આ સ્થળ પર પાણીના પાઉચ અને બોટલો ચઢાવા ઉભા રહે છે. સ્માર્ટફોન અને આંગળીના ટેરવે રમાતી જીંદગીના વહેણમાં લોકોની એવી માન્યતા છે કે આ સ્થળ પર પાણી ચઢાવવાથી કોઇ પણ માનતા પુરી થાય છે. કહેવાય છે કે ૨૦૧૩માં આ રોડ પર ગુંજાલા ગામના વ્યક્તિનો અકસ્માત થયો હતો જેમાં તેનું મુત્યુ થયુ. આજુબાજુ રહેતા લોકોનું કહેવું છે કે આ વ્યક્તિ અંતીમ ક્ષણે પાણી માંગતા હતા.
બસ તે દિવસથી આ જગ્યા પરથી પસાર થતા લોકો પાણીના પાઉચ અને પાણીની બોટલો અહીં મુકે છે. લોકોની અંધશ્રદ્ધા એ હદ પાર કરી દીધી છે. રસ્તા પર પાણીના પાઉચનો ઢગલો થઇ જાય છે છતા લોકો પાઉચ મુકવાનું બંધ નથી કરતા. પાણીની બોટલો અને પાઉચ રસ્તા પર આવી જાય છે અને તેના કારણે વાહનોને અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડે છે છતા પણ લોકની અંધશ્રદ્ધા ઓછી થતી નથી.
નજીકના ફાર્મમાં રહેતા ચોકીદાર પણ આ વાતની પુષ્ટી કરે છે. ભૂતપ્રેત હોય છે તેવી ખોટી માન્યતા રાખતા લોકોને તો એમ લાગે છે કે તેઓ જ્યારે પણ અહીંથી પસાર થાય છે ત્યારે કોઇ તેમની પાસે પાણી માંગે છે.
પાયા વિહોણી લોકોની વાતો અને ખોટી અંધશ્રદ્ધાના કારણે પ્લાસ્ટિકની બોટલોનો ઢગ ઉભો થઇ ગયો છે. પાણીનો વ્યર્થ બગાડ થાય છે પરંતુ આવા લોકોને કહેવા કોણ જાય. શ્રદ્ધા હોય ત્યાં સુધી બરોબર છે પરંતુ આવી ખોટી અંધશ્રદ્ધા અનેક મુસીબતોને નોતરે છે.