વાજડી ગામે થયેલા આ ભયાવહ અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ પારૂલ યુનિવર્સિટીના હતા.
રાજકોટ કાલાવડ રોડ પર અકસ્માત
ST બસ અને કાર વચ્ચે અકસ્માત
અકસ્માતમાં ત્રણ મેડિકલ વિદ્યાર્થીના મૃત્યુ, 3 ગંભીર
ગુજરાતના હાઇવે પર દિન પ્રતિદન અકસ્માતની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. રાજકોટ કાલાવડ રોડ પર ST બસ અને કાર ધડાકાભેર અથડાતાં ચકચાર મચી છે. હાઇવે પર આવેલા વાજડી ગામ નજીક થયેલા આ ગોઝારા અક્સ્માતમાં ત્રણ વિદ્યાર્થીના મૃત્યુ થયા છે જ્યારે અન્ય 3 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ત્રણેય મૃતક પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થી
ST બસ અને કાર વચ્ચે થેયલા આ અક્સ્માતના ત્રણેય મૃતકોની ઓળખાણ તેમના આઈ ડી કાર્ડ પરથી કરી લેવામાં આવી છે, ત્રણેય વિદ્યાર્થીઓ અમદાવાદની પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. અકાળે થયેલા આ અકસ્માતમાં નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી, ધાગધરીયા ફોરમનું મૃત્યુ થયા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતમાં મરણ પામેલા ત્રણેય વિદ્યાર્થીઓને કાર કાપી બહાર કાઢવા પડ્યા હતા.જે માટે ફાયર વિભાગના ટીમની મદદ લેવાઈ હતી, ગેસ કટરથી કારના પતરાં કાપી ત્રણેય વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા.
આરોગ્ય કેન્દ્રની વિઝીટે આવ્યા હતા વિદ્યાર્થી
પારૂલ યુનિવર્સિટીના આ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટે આવ્યા હતા. જ્યાંથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો અને ત્રણ વિદ્યાર્થીએ જીવ ખોવાનો વારો આવ્યો છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે ત્રણેય વિદ્યાર્થીઓના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યાં હતા. જયારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મૃતકોના પરિવાર પર આભ ફાટ્યું
પારૂલ યુનિવર્સિટીમાં ભણી રહેલા આ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતા પણ અકસ્માતનો ભોગ બનતા ત્રણેય મૃતકોના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ત્રણેય વિદ્યાર્થીઓના પરિવારજનો હિબકે ચડયા છે . તો આ તરફ રાજકોટના કાલાવડ પંથકમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે. નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી, ધાગધરીયા ફોરમ જેવા નાની ઉંમરના વિદ્યાર્થી મૃત્યુના સમાચારથી પારૂલ યુનિવર્સિટી પણ શોક મગ્ન છે. ઘાયલ થયેલા અન્ય 3 વિદ્યાર્થી જલ્દી સાજા થાય તેવી પરિવારો પ્રાર્થના કરી રહ્યા છે. અકસ્માત થયાની પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી ઘાયલોને સારવાર માટે તો મૃતકોની ઓળખની કામગીરી હાથ ધરાઇ હતી. પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે.