ભૂજ-ભચાઉ હાઇવે ઉપરના ધાણેટી ગામ પાસે આઈશર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૭ ઘાયલ થયા હતા. તમામ ઘાયલને ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મળસ્કે ૪-૪૫ વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતનો ભોગ બનનાર રાજગોર, ક્ષત્રિય અને પટેલ પરિવાર મહેસાણાના વોટરપાર્કથી પોતાના ઘેર પરત ફરી રહેલા ભૂજના રાજગોર અને મીરજાપરના પટેલ તેમજ ક્ષત્રિય પરિવારના સભ્યોની ઇકો કારણે આજે મળસ્કે ૪/૪૫ વાગ્યે BKT કંપની ધાણેટી પાસે સામેથી પુરપાટ આવતા આઈશર ટેમ્પાએ અડફેટે લેતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળેથી ઘાયલ અને ઇજાગ્રસ્તોને ભૂજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ભૂજના એક પુરુષ સહિત મીરજાપરની બે સગીર કન્યાઓનાં મોત નીપજ્યાં હતાં. ભૂજના વાલદાસનગરમાં રહેતા રાજેશ પ્રભાશંકર ગોર (ઉ.વ.૪૨), મીરજાપર (ભૂજ)ના, પૂજાબહેન ધનજી ભુડિયા અને મીરજાપર (ભૂજ)ના આંબેડકરનગરમાં રહેતાં હિરલબા રાજુભા વાઘેલાનાં કરુણ મોત નીપજ્યાં હતાં.
જ્યારે ઘાયલ થનારાઓમાં શ્વેતાબહેન અરુણ ગોર (ઉં.વ.૨૨) કૈલાસનગર-ભૂજ, કસ્તુરબહેન ધનજી ભુડિયા (ઉ.વ.૪૫)-મીરજાપર, ભૂજ, સની રાજેશ જોશી (ઉ.વ.૨૧), રિદ્ધિ રાજેશ જોશી (ઉ.વ.૨૩), હેતવી રાજેશ ગોર (ઉં.વ.૧૫), કૈલાસનગર-ભૂજ, ધરમબા રાજુભા વાઘેલા (ઉ.વ.૨૨), મીરજાપર-ભુજ, સ્નેહા મનીષ મોતા, સીતારામ પરિવાર, જૂની રાવલવાડી ભૂજ આ તમામ સારવાર હેઠળ છે. અકસ્માત અંગે ભૂજના અરુણ રતિલાલ ગોરે પોલીસ ફરિયાદ લખાવી હતી. આ અકસ્માતની તપાસ પોલીસે શરૂ કરી છે.