બાપુનગર હીરાવાડી ચાર રસ્તા નજીક ગઇ કાલે બપોરે ભાવનગર પોલીસ જીપના ડ્રાઇવરે દારૂના નશામાં જીપ દોડાવી રિક્ષા અને ત્રણ સવારી બાઇકને અડફેટે લઇ સર્જેલા ગંભીર અકસ્માતમાં રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થવાના ચકચારી કિસ્સામાં પોલીસે અજયસિંહ પ્રદ્યુમ્નસિંહ ગોહિલની ધરપકડ કરી છે.
જી-ડિવિઝન ટ્રાફિક પોલીસે અજયસિંહ વિરુદ્ધમાં બેદરકારીથી વાહન ચલાવીને અકસ્માત કરવા બદલ ગુનો દાખલ કર્યો છે ત્યારે પોલીસ જીપમાંથી મળી આવેલ દારૂની બોટલના કારણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પણ અજય વિરુદ્ધમાં પ્રોહિિબશનનો ગુનો નોંધાયો છે.
અજયસિંહ ભાવનગરથી દારૂની બોટલ લઈને આવ્યો હતો અને તેના મિત્ર સાથે પાર્ટી કરી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે ત્રણ ઘાયલ થયા છે. ભાવનગરના પોલીસ અધિકારીને ગાંધીનગર ડ્રોપ કરી અમદાવાદ તરફ દારૂની બોટલ લઇ અજયસિંહ આવ્યો હતો.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર અજયસિંહ ભાવનગરથી દારૂ લઇ આવ્યો હતો. તે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં કૃષ્ણનગર ચાર રસ્તા તરફથી પુરઝડપે બીઆરટીએસ ટ્રેકમાં પોલીસ જીપ હંકારી હીરાવાડી ચાર રસ્તા નજીક એક રિક્ષાને અડફેટે લીધી હતી.
અજયસિંહે કાબૂ ગુમાવતાં જીપ સાઇડ તરફ ધકેલાઇ ત્યારે બાઇક પર સવાર ત્રણ વ્યક્તિને પણ અડફેટે લેતાં તેઓ પટકાયા હતા. લોકોએ તેને પકડી પાડી પોલીસ હવાલે કર્યો હતો. જી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ગાવિતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જીપમાં દારૂ રાખવાનો કેસ કર્યો છે.