આજે સવારથી જ રાજ્યના ઠેક-ઠેકાણે અકસ્માતના બનાવો બન્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક તરફ નવસારીના હાઇવે નં-48 પર એક લક્ઝરી બસને કન્ટેનરે ટક્કર મારતા માતાજીના દર્શન કરીને પરત ફરી આવતા લોકો પૈકી 6ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયાં હતા. તો પાટણમાં એક મહિલાને બાઇક ચાલકે અડફેટે લીધાના પણ સમાચાર પ્રાપ્ત થયાં હતા.
આજે સવારથી જ રાજ્યના ઠેક-ઠેકાણે અકસ્માતના બનાવો બન્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક તરફ નવસારીના હાઇવે નં-48 પર એક લક્ઝરી બસને કન્ટેનરે ટક્કર મારતા માતાજીના દર્શન કરીને પરત ફરી આવતા લોકો પૈકી 6ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયાં હતા. તો પાટણમાં એક મહિલાને બાઇક ચાલકે અડફેટે લીધાના પણ સમાચાર પ્રાપ્ત થયાં હતા.
રાહદારી મહિલાને બાઇક સવારે લીધી અડફેટે
નવસારી જિલ્લામાં વધુ એક અકસ્માત થયો છે. બીલીમોરા-ચીખલી રોડ પર રોડ ક્રોસ કરી રહેલી એક મહિલાને બાઈક ચાલકે અડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક મહિલા રોડ ક્રોસ કરી રહી છે.
જેવી મહિલા ડિવાઈડરથી નીચે ઉતરે છે. તે જ સમયે પૂરપાટ ઝડપે જઈ રહેલા બાઈક ચાલકે મહિલાને અડફેટે લીધી અને ત્યાર બાદ 10થી 15 ફૂટ દૂર મહિલા ફંગોળાઈ. અને બાઈક ચાલક પણ દૂર જઈને પટકાયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
ટ્રક પાર્લર સાથે અથડાયો
પાટણના બાલીસણા ગામમાં GEB પાસે અકસ્માત થયો છે. બાલીસણા ગામ પાસેથી પસાર થઈ રહેલા ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક GEB પાસે આવેલા એક પાર્લરમાં ધડાકાભેર અથડાયો હતો. જેમાં અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
જેથી યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે એક યુવાન બાંકડા પર બેઠો હતો. તે સમયે પાછળથી ટ્રક અચાનક આવે છે અને પાર્લરમાં ઘુસી જાય છે. જેમાં યુવાનને અડફેટે લઈ લે છે.
કન્ટેનરે લક્ઝરી બસને મારી ટક્કર, 6 ને કાળ ભરખી ગયો
નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પાસે ધોળાપીપળા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં છ લોકોનાં મોત થયા છે. ત્રણ લોકોનાં ઘટના સ્થળે મોત થયા તો ત્રણ લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે.
તો અન્ય છ લોકોને ગંભીર ઈજા થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં ત્રણ સુરતના વેસુગાની નંદિની-3 સોસાયટીના રહીશો છે. આ લોકો ચૈત્રી નવરાત્રી હોવાથી દહાણુના મહાલક્ષ્મી મતાજી અને વલસાડના વિશ્વંભરી માતાજીના દર્શન માટે ગયા હતા.
દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રાવેલ્સ બસમાં પંચર પડતા ટ્રાવેલ્સના ચાલકે બસ ટ્રાવેલ્સને સાઈડમાં પાર્ક કરી હતી. સાઈડમાં બસને પાર્ક કરીને ટાયર બદલી રહ્યા હતા ત્યારે અચાનક એક કન્ટેનરના ચાલકે ટ્રાવેલ્સ બસને પાછળથી ટક્કર મારતા દુર્ઘટના સર્જાઈ હતી.
જેમાં 3 લોકોનાં ઘટના સ્થળે અને ત્રણ લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હતા. તો પોલીસે પણ ઘટના બાદ કન્ટેનર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.