ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટના વધી રહી છે. રાજપીપળા ચોકડી નજીક કોઠવા દરગાહથી પરત ફરી રહેલા 3 બાઈક સવારના ગોઝારા અકસ્માતમાં મૃત્યુ થયા છે.
રાજપીપળા ચોકડી નજીક ગોઝારો અકસ્માત
કન્ટેનર અને બાઈક વચ્ચે ટક્કર
અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત
અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક ગોઝારો અકસ્માત થયો છે.જેમા ઘટનાસ્થળે જ 3 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.રાજપીપળા ચોકડી નજીક બાઈક અને કન્ટેનર વચ્ચે એક્સિડેન્ટ થતાં ત્રણ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.બાઈક અને ટ્રક વચ્ચેની ટક્કરમાં બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે ટ્ર્કના ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કોઠવા દરગાહથી પરત ફરી રહ્યા હતા
જો ઘટનાની વિગતે વાત કરીએ રાજપીપળા ચોકડી પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામમાં આવેલી શાંતિ તીર્થ સોસાયટીમાં રહેતા 28 વર્ષના અખિલેશ સિંઘ તેની ભાભી પ્રિયંકા અજીત સિંઘ અને ભાભીની પિતરાઈ બહેન નિધિ વિલાસ ચૌધરી ત્રણ સવારી બાઈક હંકારી કોઠવા દરગાહ ખાતે ગયા હતા, જ્યાં પરત ફરતી વખતે કન્ટેનર નંબર HP 12 H 9277ના ડ્રાઈવરે બાઇક નંબર GJ 16 AC 1380ને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઇક સવાર ત્રણેય હવામાં ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજયાં હતા.
પોલીસે શરૂ કરી તપાસ
અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. અને અકસ્માતનું કારણ જાણવા GIDC પોલીસે તપાસ શરૂ કરી કન્ટેનરના ચાલકને ઝબ્બે કરવા કવાયત તેજ કરી છે. બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળાં થઈ ગયા હતા તેમજ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.