દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની દાદાગીરી, કિડનીની બીમારી ધરાવતા વિદ્યાર્થી સાથે શિક્ષકનું અમાનુષી વર્તન
જામ ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની દાદાગીરી
પહેલાં ધોરણના વિદ્યાર્થી સાથે સ્કૂલનું અમાનુષી વર્તન
શિક્ષકે વિદ્યાર્થીને દબાણ પૂર્વક લઘુશંકા કરવા જતા અટકાવ્યો
દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. ધોરણ 1માં ભણતો બાળકને લઘુશંકા કરવા જતા અટકાવતા ટીચર દ્વારા ગેરવર્તણૂંક કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. બાળકને કિડનીની બીમારી હોવાથી વારંવાર વોશરૂમ જવુ પડે છે તેમ છતાં શિક્ષકે વિદ્યાર્થીને વૉશરૂમ જતા રોક્યો હતો.
કિડનીની બીમારી ધરાવતા બાળકને લઘુશંકાએ ન જવા દીધો
આ મામલે જ્યારે બાળકે માતા પિતાને જાણ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટનાને પગલે વાલી શાળામાં રજૂઆત કરવા પહોંચ્યા તો શાળાના શિક્ષકો અને સ્ટાફે વાલીને ધમકાવ્યા હતા જેને લઇને અંતે વાલીએ શાળાના શિક્ષક અને ફાધર સામે પોલીસ ફરિયાદ નોંધાવી. શાળામાંથી બાળકનું એલસી લેવાનો નિર્ણય કર્યો હતો. વાલી એબીવીપીના કાર્યકર્તાઓને લઇને શાળામાં એલસી લેવા ગયા તો સ્કૂલે એલસી આપવાને બદલે સ્કૂલનો ગેટ બંધ કરી દીધો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. શાળા સંચાલકોના આવા વર્તનનો એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો.
શિક્ષક સામે કાર્યવાહી ક્યારે ?
મહત્વનું છે કે કિડનીના દર્દીને લઘુશંકા રોકવાથી ગંભીર બીમારી થઇ શકે છે તેવું ડોક્ટર જણાવે છે ત્યારે આટલા નાના બાળક સાથે શિક્ષકો આવુ વર્તન કેવી રીતે કરી શકે ? બાળકની સ્થિતિ સમજવાને બદલે શિક્ષકોએ શા માટે દેખાડી નિષ્ઠુરતા ? શું આવા શિક્ષકો વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી ? વાલીઓ તમે પણ ચેતી જજો, તમારા બાળક સાથે તો આવું વર્તન નથી થઇ રહ્યું ને શાળામાં ?