દુનિયાની એકમાત્ર 10 ઓવરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ, જેને આઇસીસી દ્વારા માન્યતા મળી છે તેની આગામી સિઝનની જાહેરાત કરી દેવામાં આવી છે. ટૂર્નામેન્ટની ચોથી સિઝન તા. 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી-2021 દરમિયાન રમાશે. એવું બીજી વાર બનશે કે જ્યારે આ ટૂર્નામેન્ટનું આયોજન અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં કરવામાં આવશે.
અબુધાબીમાં ક્રિકેટ મુકાબલો
ટી-10 28 જાન્યુઆરીથી શરૂ થશે
અબુધાબી સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા થશે સંચાલન
2019માં આઠ ટીમે આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ બધી ટીમે 2021માં ભાગ લેવાની પુષ્ટિ કરી દીધી છે. આ ટીમ છેઃ ટીમ અબુધાબી, મરાઠા અરેબિયન્સ, બંગલા ટાઇગર્સ, ડેક્કન ગ્લેડિયેટર્સ, ક્વાન્ડર્સ, દિલ્હી બુલ્સ, નોર્ધર્ન વોરિયર્સ અને કર્ણાટક ટસ્કર્સ, જે હવે પુણે ડેવિલ્સના નામે ઓળખાશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ મરાઠા અરેબિયન્સની માલિકી પરવેઝ ખાન, રાજુ ઐયર અને અનુરાગ મહેશ્વરી પાસે છે, જ્યારે ૨૦૧૯ની રનર-અપ ટીમ ડેક્કન ગ્લેડિયેટર્સની માલિકી ભારતીય દિગ્ગજ ગૌરવ ગ્રોવર પાસે છે. ટીમ અબુધાબીની સંપૂર્ણ માલિકી અબુધાબી ક્રિકેટ પાસે છે અને તેનું સંચાલન અબુધાબી સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે.
બાંગ્લાદેશી ઉદ્યોગપતિ યાસીન ચૌધરી અને સિરાઝુદ્દીન આલમ પાસે બંગલા ટાઇગર્સ ટીમની માલિકી છે. ક્વાન્ડર્સની માલિકી આતિફ રાણા, સમીર રાણા, સલીમ રફીક અહેમદ પાસે છે. ચૌધરી ઉમર હુસેન, આર. નીલેશ ભટનાગર (એનબી વેન્ચર્સના માલિક) પાસે દિલ્હી બુલ્સ ફ્રેન્ચાઇઝીની માલિકી છે. નોર્ધર્ન વોરિયર્સ ટીમની માલિકી ઉદ્યોગપતિ શબાઝ એલિયાસ, મોહંમદ મોરાણી, નદેર આદમ અલી, ઝુનૈદ અઝીઝ મોતી અને ઓસ્માન અલી પાસે છે. પુણે ડેવિલ્સ ફ્રેન્ચાઇઝીના માલિક પરાગ સંઘવી અને કૃષ્ણકુમાર છે.
પરવેઝ ખાને કહ્યું, ''અમારી ટીમ અબુધાબી ટી-10 ખિતાબને ડિફેન્ડ કરવા અને ટૂર્નામેન્ટમાં સતત જીત સાથે ઇતિહાસ રચવા માટે પ્રતિબદ્ધ છે. અમારી પાસે શાનદાર ટીમ છે અને મને વિશ્વાસ છે કે બધા ખેલાડી ટ્રોફી જીતવા માટે શાનદાર પ્રદર્શન કરવા પ્રતિબદ્ધ છે.''