જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોની બસ પર આતંકી હુમલો કર્યો હતો જેનો સેનાએ વળતો જવાબ આપતા આજે એક આતંકીને ઠાર કર્યો હતો. તેની ઓળખ હવે સામે આવી ગઈ છે.
પાકિસ્તાની લશ્કર એ તોયબાનો આતંકવાદી આજે જમ્મુ કાશ્મીરમાં ઠાર કરાયો હતો.
અબુ ઝરારા હતું નામ
આ આતંકીનું નામ અબુ ઝરારા હતું જે પાકિસ્તાનથી આવ્યો હતો. તેની પાસેથી ચાર મેગેઝીન, એક ગ્રેનેડ અને થોડા પાઉચ સાથે ભારતીય ચલણી નોટ મળી આવ્યા હતા. ઇન્ટેલિજન્સ પાસેથી માહિતી મળતા સેના અને પોલીસે મળીને એક ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બહેરામગલા વિસ્તારમાં હથિયારધારી આતંકીઓ હોવાની માહિતી મળ્યા બાદ સામસામે ફાયરિંગ થયું હતું.
ગઈકાલે રાત્રે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો
સુરક્ષા દળોને આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જણાવી દઈએ કે, શ્રીનગરમાં ગઈકાલે રાત્રે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા હતા અને 11 પોલીસકર્મી ઘાયલ થયા હતા.
ગઈકાલના હુમલામાં ઘાયલ થયેલો જવાન આજે સવારે થયો શહીદ
આતંકવાદી હુમલામાં ઘાયલ ત્રીજા પોલીસકર્મી રમીઝ અહેમદ આજે સવારે શહીદ થયા છે. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના જૂથ કાશ્મીર ટાઈગર્સે શ્રીનગર આતંકી હુમલાની જવાબદારી લીધી છે.
જણાવી દઈએ કે સુરક્ષા દળોએ પુંછના સુરનકોટમાં આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. બંને તરફથી ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો છે. આતંકવાદીઓથી બચવું અશક્ય છે. 16 રાષ્ટ્રીય રાઈફલ્સ અને SOGની ટીમ સંયુક્ત રીતે આતંકવાદીઓ વિરુદ્ધ આ સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષા દળોને ઈનપુટ મળ્યા હતા કે પૂંચમાં 2 થી 3 આતંકીઓ છુપાયા છે.
શ્રીનગરમાં આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલો
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ફરી એકવાર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. શ્રીનગરમાં સુરક્ષા દળોની બસ પર આતંકી હુમલો. આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે, જ્યારે 11 ઘાયલ થયા છે. શ્રીનગરના જેવાન પંથા ચોક વિસ્તાર પાસે આતંકવાદીઓએ પોલીસ બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલો સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસ થયો હતો. ત્રણ આતંકવાદીઓએ પોલીસ બસ પર આ હુમલો ત્યારે કર્યો જ્યારે 25 પોલીસ કર્મચારીઓ ડ્યૂટી પૂરી કરીને પાછા જઈ રહ્યા હતા.
હુમલા બાદ આતંકીઓ ભાગી ગયા હતા
જણાવી દઈએ કે બસ પર 2-3 આતંકીઓએ ત્રણ બાજુથી હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં એક આતંકીને પણ ઠાર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્રણેય હુમલાખોરો ભાગવામાં સફળ રહ્યા હતા. આતંકી હુમલામાં ઘાયલ પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓની શોધખોળ ચાલુ છે. તે જ સમયે, શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન આતંકવાદીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. એન્કાઉન્ટર દરમિયાન પોલીસે એક વિદેશી આતંકવાદી સહિત લશ્કરના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
હુમલા બાદ રાજનીતિએ રફ્તાર પકડી
કશ્મીરમાં પોલીસ કાફલા ઉપર હુમલાને લઇ હવે રાજનીતિએ રફ્તાર પકડી છે.કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓએ સરકાર ઉપર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ નેતા અધીરંજન ચૌધરીએ સરકાર સામે આક્ષેપ કરી જણાવ્યું છે કે 370 કલમની નાબૂદી બાદ કશ્મીરમાં શાંતિની સ્થાપના થશે પરંતુ હાલ એવો વાયદો નિભાવવામાં સરકાર નિષ્ફળ થઇ છે.