ભારતીય રેલ્વે દ્વારા 2025-26 સુધીમાં યુરોપ, દક્ષિણ અમેરિકા અને પૂર્વ એશિયાના બજારોમાં વંદે ભારત ટ્રેનની નિકાસ કરવાની તૈયારી
બ્રહ્મોસ મિસાઈલ બાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિદેશોમાં પણ ચર્ચા
યુરોપ, દક્ષિણ અમેરિકા-પૂર્વ એશિયાના બજારોમાં વંદે ભારત ટ્રેનની નિકાસ કરવાની તૈયારી
સ્લીપર ક્લાસ સાથે સ્વદેશી ટ્રેનોનું નવું વર્ઝન 2024ના પ્રથમ ક્વાર્ટરમાં આવે તેવી સંભાવના
બ્રહ્મોસ મિસાઈલ બાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિદેશોમાં પણ ચર્ચા છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં કહ્યું હતું કે, ઘણા દેશોએ તેમાં રસ દાખવ્યો છે. રેલવે હવે તેની નિકાસ કરવાની પણ યોજના બનાવી રહી છે. ભારતીય રેલ્વે 2025-26 સુધીમાં યુરોપ, દક્ષિણ અમેરિકા અને પૂર્વ એશિયાના બજારોમાં વંદે ભારત ટ્રેનની નિકાસ કરવાની તૈયારી કરી રહી છે.
એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે સ્લીપર ક્લાસ સાથે સ્વદેશી ટ્રેનોનું નવું વર્ઝન 2024ના પ્રથમ ક્વાર્ટરમાં આવશે. હાલમાં દેશમાં પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે. જેમાંથી બે જૂની પેઢીના અને ત્રણ નવી પેઢીના છે. પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ 2019 માં નવી દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી. વૈષ્ણવનું કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમાં વધુ સુધારા ઈચ્છે છે. તેથી રેલવેએ ત્રીજી પેઢીની વંદે ભારત એક્સપ્રેસની ડિઝાઇન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેનું વજન ઘણું હલકું હશે.
આ સાથે અધિકારીએ કહ્યું કે, રેલવે આગામી કેટલાક વર્ષોમાં 75 વંદે ભારત ટ્રેનો દ્વારા 10-12 લાખ કિલોમીટરનું અંતર કાપવાની યોજના બનાવી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી બેથી ત્રણ વર્ષમાં ટ્રેનોની નિકાસ માટે ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે. અમે આગામી ત્રણ વર્ષમાં 475 વંદે ભારત ટ્રેનો બનાવવાના ટ્રેક પર છીએ અને એકવાર તે સફળતાપૂર્વક કાર્યરત થઈ જશે. વૈશ્વિક બજારોમાં અમારા ઉત્પાદનો માટે વિશ્વાસ રહેશે. વંદે ભારત ટ્રેનો તમામ આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે. તેમણે કહ્યું કે, આ ટ્રેનોમાં મુસાફરોને કોઈ ઝટકો લાગતો નથી અને અવાજનું સ્તર વિમાન કરતા 100 ગણું ઓછું છે.
ભારતને તેની પ્રથમ ટિલ્ટિંગ ટ્રેન 2025-26 સુધીમાં મળી શકે છે. 'ટિલ્ટિંગ ટ્રેન'માં એવી વ્યવસ્થા હોય છે, જેના કારણે 'બ્રૉડ-ગેજ ટ્રેક' પર તેમની સ્પીડ વધી જાય છે. આ સાથે જ્યારે વળાંક આવે છે ત્યારે તેઓ વાળવામાં સક્ષમ હોય છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 100 વંદે ભારત ટ્રેનો બનાવવામાં આવી રહી છે, જેની મદદથી ટ્રેનો મોટરસાઇકલની જેમ વળાંકોની આસપાસ જઈ શકશે. તેમણે કહ્યું કે 2025 સુધીમાં 400 વંદે ભારત ટ્રેનોમાંથી 100માં આ ટેક્નોલોજી હશે. અધિકારીએ કહ્યું કે, અમારી પાસે દેશમાં બેન્ડેબલ ટ્રેનો હશે. અમે આ માટે ટેક્નોલોજી પાર્ટનર સાથે જોડાણ કરીશું. આગામી બે-ત્રણ વર્ષમાં 100 વંદે ભારત ટ્રેનોમાં આ ટેક્નોલોજી હશે.