વર્ષ 2023ને અંગે વિશ્વ બેંકે ભવિષ્યવાણી કરી જણાવ્યું કે આ વર્ષમાં વૈશ્વિક અર્થતંત્ર મંદીની નિજિક રહેશે. જ્યારે વિકાસના દરનું અનુમાન ઘટાડીને 1.7 કરી દેવામાં આવ્યું છે.
વર્ષ 2023ને લઈને વિશ્વ બેંકે કરી આગાહી
2023માં વૈશ્વિક અર્થતંત્ર પર મંદીનો પડછાયો પડે તેવુ અનુમાન
અમેરિકા, યુરોપ અને ચીનના વિકાસ દરના ઘટાડાની આશંકા
મોટા ગજાની અર્થવ્યવસ્થા અમેરિકા, યુરોપ અને ચીનના વિકાસ દરના ઘટાડાને પગલે વૈશ્વિક અર્થતંત્ર પર ચાલુ વર્ષે મંદીનો પડછાયો જોવા મળશે. તેવુ વિશ્વ બેંકના સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વાર્ષિક અહેવાલ રજૂ કરતા વિશ્વ બેંકે જણાવ્યું હતું કે તેણે 2023 માટે વૈશ્વિક વિકાસ દર જે અગાઉ 3 ટકા હતા તે ઘટાડીને 1.7 ટકા કર્યો છે.મહત્વનું છે કે આજે મંગળવારે વર્લ્ડ બેંક દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે.
2020માં કોરોનાને પગલે વૈશ્વિક વિકાસ દરમાં મોટુ ગાબડું
બીજી તરફ જો વિશ્વ બેંકની આ ભવિષ્યવાણી સાચી નીવડશે તો ત્રણ દાયકામાં ત્રીજી વખત આર્થિક વૃદ્ધિ સૌથી નબળી હશે. તેવો ઘાટ સર્જાશે. મહત્વનું છે કે પહેલા 2008, બાદમાં 2020માં કોરોનાને પગલે વૈશ્વિક વિકાસ દરમાં મોટુ ગાબડું પડ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અમેરિકા ચાલુ વર્ષે મંદીથી બચે તેવા ચાન્સ રહેલા છે પરંતુ અમેરિકાનો વિકાસ દર માત્ર 0.5 ટકા રહેવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધને પગલે અમેરિકાની નિકાસ ચેનમા પ્રતિકૂળતા આવવાની સંભાવના રહેલી છે. તો બીજી બાજુ ચીનની નબળી અર્થવ્યવસ્થાનો ઘા યુરોપને પણ સહન કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડએ કર્યો હતો આ દાવો...
વધુમાં અમેરિકા અને યુરોપમાં વ્યાજદરમાં વધવાને પગલે તે ગરીબ દેશોમાંથી રોકાણ આકર્ષશે અને તેના પરિણામે આ દેશોમાં રોકાણ સંકટ સર્જાઈ શકે તેવું પણ વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે.આપને જણાવી દઈએ કે આ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના રિપોર્ટમાં પણ અનુમાન સાથે એવો દાવો કરાયો હતો કે 2023-24માં ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકા રહેશે. જે 2022-23માં 6.8 ટકા રહેવાની શકયતા છે. આઈએમએફએના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો, કડક નાણાકીય નીતિના કારણે આર્થિક વિકાસ દર ઘટી શકે છે. વધુમાં આઇએમએફ એ એવું પણ કહ્યું છે કે ભારતમાં આગામી બે વર્ષમાં મોંઘવારી પણ ઘટી શકે છે. તો એવુ પણ કહ્યું છે કે કોરોનાના ખતરનાક વેરિયન્ટથી વેપાર ઉદ્યોગને નુકસાન થઈ શકે છે.એટલું જ નહીં યુક્રેનમાં યુદ્ધ અને રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો પણ ભારતને ઘણી રીતે અસર કરી રહ્યા હોવાનું IMFએ જણાવ્યું હતું.