ભારતીય દૂરસંચાર ક્ષેત્ર આવતા છ મહીનામાં લગભગ 40,000 નોકરીઓમાં ઘટાડો કરી શકે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટેલીકોમ કંપનીઓ 92,000 કરોડથી વધારેના બોજમાં દબાઇ ગઇ છે. એવામાં આ બોજને દૂર કરવા માટે આ કંપનીઓ પોતાનું વર્કફોર્સ ઓછુ કરી શકે છે.
Telecom ક્ષેત્રમાં આવતા છ મહીનામાં લગભગ 40,000 નોકરીઓમાં ઘટાડો થઇ શકે
ટેલીકોમ કંપનીઓ 92,000 કરોડથી વધારેના બોજમાં
ટેલીકોમ કંપનીઓ બોજને દૂર કરવા માટે પોતાનું વર્કફોર્સ ઓછુ કરી શકે
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટેલીકોમ કંપનીઓને એજીઆર વિવાદ પર દૂરસંચાર વિભાગને 92,641 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની છે. એવામાં તેમાંથી બહાર આવવા માટે કંપનીઓએ લગભગ 20 ટકા પોતાનો વર્કફોર્સ ઓછો કરવો પડશે. આવનારા સમયમાં આ આંકડો વધી પણ શકશે.
સીઆઇઇએલ એચઆર સર્વિસિઝમાં ડિરેક્ટર અને સીઇઓ આદિત્ય નારાયણ મિશ્રાએ કહ્યું, સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ટેલીકોમ કંપનીઓ લગભગ 40,000 નોકરીઓમાં ઘટાડો કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કંપનીઓેને 92,641 રૂપિયા દૂરસંચાર વિભાગને આપવા માટે કહ્યું છે. તેથી આવનારા 6 મહીનામાં ભારતીય દૂરસંચાર ક્ષેત્રમાં 40,000 નોકરીઓમાં ઘટાડો થઇ શકે છે. જો કોઇ વર્તમાન ઓપરેટર દેવાળુ ફૂંકે છે તો આ સંખ્યા વધી શકે છે. ટેલીકોમ કંપનીઓમાં લગભગ 2 લાખ લોકો કામ કરે છે.
આદિત્ય નારાયણ મિશ્રાએ આગળ કહ્યું, વર્તમાન સ્થિતિને જોતા, ટેલીકોમ કંપનીઓ ભારે મુશ્કેલીમાં છે. આ સમસ્યા એટલી ગંભીર છે કે કેટલીક કંપનીઓ ડિફોલ્ટર જાહેર થઇ શકે છે. એજીઆર વિવાદ એરટેલ અને વોડાફોન આઇડિયા જેવી ટેલીકોમ કંપનીઓને નાણાકીય રીતે મુશ્કેલીમાં મુકનાર છે. એરટેલને વિવાદિત રાશિના લગભગ 23.4 ટકા એટલે કે 21,682 કરોડ રૂપિયા આપવા પડશે. જ્યારે વોડાફોન આઇડિયાની ચૂકવણી તેથી પણ વધારે છે. વોડાફોન આઇડિયાને 30.55 ટકા એટલે કે લગભગ 28,308 કરોડ રૂપિયા દૂરસંચાર વિભાગને ચૂકવવાના રહેશે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારતી એરટેલે પોતાના સેકન્ડ ક્વાર્ટરના પરિણામ 14 નવેમ્બર સુધી ટાળ્યા છે. સાથે જ કંપનીએ આ મામલે સરકાર પાસે સહયોગ પણ માંગ્યો છે.