ગુજરાત વિશ્વકોશના 23 હજાર જેટલા લખાણો વાંચકને આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે, CMના હસ્તે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ગ્રંથોનું ડિજિટાઈઝ્ડ ગ્રંથોનું વિમોચન કરાયું
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ડિજિટાઇઝ્ડ ગ્રંથોનું વિમોચન
૨૩,૦૦૦ લખાણો વાચકને આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે
ગુજરાત વિશ્વકોશ કોઈ કમિશન કે વળતર લેશે નહીં
વિશ્વકોશ ટ્રસ્ટ આજે બત્રીસ વર્ષ પૂરા કરશે અને 33માં વર્ષમાં પ્રવેશ કરશે.ગુજરાતી ભાષાના પ્રથમ એન્સાઇક્લોપીડિયા ગણાતા એવા આ ગુજરાત વિશ્વકોશના અંદાજે ૨૩ હજાર જેટલા લખાણો વાચકોને હવે આંગળીના ટેરવે-ઓનલાઇન ઉપલબ્ધ બન્યા છે, ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના વિશ્વકોશ ટ્રસ્ટના ડિજીટાઈઝ્ડ ગ્રંથોનું આજે વિમોચન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે વિશ્વકોશમાં ઉપલબ્ધ વિવિધ વિષયોની સઘળી માહિતી પણ હવે વેબસાઇટ પરથી વાંચી શકાશે. મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ગુજરાતી શબ્દકોશ લેક્સિકોનનું સંચાલન સંભાળ્યું હતું.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ડિજીટાઇઝ્ડ ગ્રંથોનું વિમોચન
ગુજરાતી શબ્દોનો અર્થ જાણવા અને તેની સમજણ કેળવવા માટે ગુજરાતી લેક્સિકોનનો લાભ કરોડો વાચકો લઇ રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ભાષાને વિશ્વના ખૂણે-ખૂણે વસતા લોકો સુધી આ ડિઝીટાઇઝ્ડ ગ્રંથોને પહોંચાડવાના અભિગમની પ્રસંશા કરી હતી. આ પ્રસંગે ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી પી. કે. લહેરી અને અધ્યક્ષ કુમારપાળ દેસાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પી. કે. લહેરીએ ગુજરાત વિશ્વકોશ દ્વારા બાળ વિશ્વકોશ, પરિભાષા કોશ વગેરે કોશોની કામગીરીનો ખ્યાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ કોશ ભેટ પણ આપ્યા હતા.
વિશ્વકોશના ૨૩,૦૦૦ લખાણો વાચકને આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે
વિશ્વકોશના મેનેજિંગ ટ્રસ્ટી અને સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું કે - ગુજરાતી ભાષામાં વિશ્વકોશ નથી એવું મ્હેણું ભાંગવાનો વિશ્વકોશ દ્વારા ભગીરથ પ્રયાસ થયો અને તેને પરિણામે પચીસ હજાર હસ્તપ્રતો, ત્રેવીસ હજાર લખાણો, 178 વિષયો ધરાવતા ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથો તૈયાર થયા. એ પછી 'બાળવિશ્વકોશ'ના સાત ખંડો તૈયાર થયા, નવ જેટલી ગ્રંથશ્રેણીઓ દ્વારા જુદા જુદા વિષયોના અભ્યાસપૂર્ણ અને પ્રમાણભૂત નેવું પુસ્તકો તૈયાર થયાં. એની વ્યાખ્યાન શ્રેણીઓએ સમાજમાં આગવી ભાત પાડી છે અને અર્થશા, ટેકનોલોજી, સાહિત્ય, મેનેજમેન્ટ, કૃષિ, દર્શન જેવાં જુદાં જુદાં - વિષયો પરનાં વ્યાખ્યાનો બહુજન સમાજ માણી રહ્યું છે. પરિભાષાકોશ અને નારીકોશનું કામ ચાલે છે, બીજી બાજુ બાળકિશોરો માટેના સાહિત્યપ્રકાશનો અને પ્રજ્ઞાાચક્ષુઓ માટે યોગશિબિર જેવાં વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
વિશ્વકોશ કોઈ કમિશન કે વળતર લેશે નહીં
એ જ રીતે એના ગ્રંથાલયને વિકસાવીને જુદા જુદા સર્જકોની જન્મતિથિ અને મૃત્યુતિથિએ એમનાં પુસ્તકોનું પ્રદર્શન યોજાય, એમને વિશે વિડિયો પ્રસ્તુત થાય અને એમને વિશેનું વક્તવ્ય રજૂ થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે. બાળદિવસ, નારીદિવસ જેવા ખાસ દિવસોને અનુલક્ષીને એ પ્રકારના પુસ્તકોનો ખાસ ફોર્મેટ તૈયાર કરવામાં આવશે અને વિશેષ તો અહીં જે કંઈ પુસ્તકો સંસ્થા દ્વારા વેચાણ માટે મુકાશે, તે અંગે વિશ્વકોશ કોઈ કમિશન કે વળતર લેશે નહીં.
વિશ્વકોશના આર્કાઇવ્ઝમાં મહત્વની સામગ્રી એકત્રિત
વિશ્વકોશના આર્કાઇવ્ઝમાં અત્યારે મહત્વની સામગ્રી એકત્રિત કરવામાં આવી છે જેમાં ગોવર્ધનરામ ત્રિપાઠીની કાવ્યકૃતિ 'સ્નેહમુદ્રા'ની હસ્તપ્રત, શાયર મરીઝની ડાયરી, બચુભાઈ રાવત અને બીજા સર્જકો અને સંપાદકોની તસવીરો તેમજ ચન્દ્રવદન મહેતાને મળેલાં સ્મૃતિ ચિહ્નો અહીં આર્કાઇવ્ઝમાં રાખવામાં આવ્યા છે. આ આર્કાઇવ્ઝ પણ સતત સમૃદ્ધ થતું રહ્યું છે. આ રીતે તેત્રીસમાં વર્ષે ગુજરાતી વિશ્વકોશ જુદી જુદી નવી દિશાઓમાં પહેલ કરી રહ્યું છે.