અભિવ્યક્તિ 2020 તેના મધ્યાહન ઉપર છે. નાટક, નૃત્ય અને સંગીતના મહારથીઓએ પોતાનો રસાસ્વાદ દર્શકોને કરાવી રહ્યા છે. સંપૂર્ણ મફત એન્ટ્રીનો લાભ મેળવીને પોતાના પ્રિય કલાકારોને માણવા આવતા આ બધા જ દર્શકો આ કૃતિઓને મનભરીને માણી રહ્યા છે.
નોંધનીય છે કે આ તમામ કૃતિઓ ફરીથી ભજવવા આવી રહી છે અને આ ઉપરાંત નવી ઘણી બધી કૃતિઓ ગયા અઠવાડિયાથી શરુ થઇ છે. 1લી માર્ચ સુધીની તમામ કૃતિઓનું સમયપત્રક નીચે આપેલ લિંકમાં જોઈ શકાશે.
આ કૃતિઓ પૈકી દર્શકો દ્વારા સૌથી વધુ સરાહના પામેલી કેટલીક કૃતિઓમાંની થોડી કૃતિઓ આ મુજબ છે.
જિલેટીન:
આ વિશિષ્ટ નાટકનો અભિવ્યક્તિમાં બે વખત પ્રયોગ થઇ ચુક્યો છે. ચેતન દહિયા દિગ્દર્શિત અને અભિનીત આ નાટક એક નાટક કે ફિલ્મ બનતી વખતે તેની પ્રોડક્શન ટીમનું કેટલું મહત્વ હોય છે તે સમજાવતી વાર્તા છે. દ્રૌપદીનું ચીરહરણ દર્શાવતા એક નાટકના અભિનેતાઓ અભિમાની થઇને પ્રોડક્શન ટીમને તુચ્છકારથી બોલાવે છે તેવી પટકથા છે. પ્રોડક્શન ટીમ વગર નાટક કેટલું બેસ્વાદ અને કંટાળાજનક છે અને પ્રોડક્શન ટીમની શું જરૂરિયાત છે તે આ નાટકમાં સાબિત થાય છે.
અહીં રમુજી અંદાજમાં નિર્ભીક રીતે ગુજરાતી રંગભૂમિની કેટલીક વાસ્તવિકતાઓ ઉપર તીક્ષ્ણ કટાક્ષ કરવામાં આવ્યો છે. કોઈ પણ પ્રોડક્શન ક્ષેત્રથી સંકળાયેલા વ્યક્તિ માટે આ નાટક ખજાના સ્વરૂપ છે. નાટકનો અંત રુંવાટા ઉભા કરી દે એટલો અસરદાર છે.
આ નાટક ફરીથી 27મી ફેબ્રુઆરીએ 8:30એ ભજવાશે.
ઈલ્યુઝન:
કથકના નૃત્યકાર કદમ પરીખે આ નૃત્યમાં પોતાનો જાદુ પાથર્યો છે. કદમ પરીખ અને અન્ય કથકની નૃત્યાંગનાઓએ ઈલ્યુઝન નામની આ કૃતિમાં શાસ્ત્રીય સંગીત ઉપર આધારિત એક ડાન્સ પરફોર્મન્સ તૈયાર કર્યું છે.
આ નૃત્યની વિશેષતા એ છે કે આખા સ્ટેજ ઉપર કાળા રંગના દુપટ્ટાઓમાં ઉભા કરવામાં આવ્યા છે જે તાલની સાથે સાથે ખસે છે. આ દુપટ્ટાઓની પાછળ જઈને કલાકારો જાદુઈ રીતે પોતાના વસ્ત્રો, પોતાની મુદ્રાઓ બદલે છે જે નૃત્યને એક વિશેષ ઓપ આપે છે.
નૃત્યના અંતમાં પ્રકાશનો પણ ખૂબ સર્જનાત્મક ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ સતત સ્ટેજ ઉપર પરફોર્મ કરી રહેલા કદમ પરીખની શારીરિક ક્ષમતા પણ કાબેલિયેતારિફ છે.
આ કૃતિ હવે ફરીથી 27 તારીખે 7:15એ રજુ થશે.
પોએટિક જસ્ટિસ
વૈશાખ અને તેની સમગ્ર ટીમ અભિવ્યક્તિમાં પોએટિક જસ્ટિસ નામનું નાટક લઇને આવ્યા છે. આ નાટક એક રાજકીય કટાક્ષ નાટક છે. નાટકમાં એક કવિ ઉપર દેશદ્રોહનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે અને તેના કાવ્યો વડે તેને દેશ વિરોધી ગણાવવામાં આવ્યો છે.
આજની દુનિયામાં જ્યાં તમામ લોકો મનફાવે એમ જજ બની જાય છે ત્યારે આ નાટક દર્શકોને વિચારવા માટે મજબૂર કરે છે કે કોઈ પણ વ્યક્તિના ઈરાદાઓ જજ કરવા કેટલા મુશ્કેલ છે આથી કોઈએ જાણ્યા જોખ્યા વગર કોઈ ઉપર આક્ષેપબાજી ન કરવી જોઈએ.
ગુજરાતના જાણીતા કલાકારો જેવા કે શ્રી રાજુ બારોટ, પ્રિયાંક ઉપાધ્યાય, વૈશાખ જેવા કલાકારો આ નાટક પ્રસ્તુત કરે છે.