રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ગઇકાલે કોરોનાથી ચેન્નઇની હોસ્પિટલમાં નિધન થયું હતું. અભય ભારદ્વાજના આજે કોવિડ ગાઇડલાઇનના પ્રોટોકોલ મુજબ રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજરોજ વહેલી સવારે ચેન્નઇથી અમદાવાદ એરપોર્ટ તેમનો પાર્થિવદેહ પહોંચ્યો છે. અમદાવાદથી પાર્થિવદેહને બાયરોડ રાજકોટ લઇ જવાશે, જ્યાં બપોરે 1થી 3 સુધી અંતિમદર્શન માટે રખાશે.
ચેન્નઇની હોસ્પિટલથી અમદાવાદ લવાયો પાર્થિવ દેહ
અમદાવાદથી પાર્થિવદેહને બાય રોડ રાજકોટ લઇ જવાશે
બપોરે 1થી 3 સુધી પાર્થિવદેહને અંતિમદર્શન માટે રખાશે
CM રૂપાણી-મંત્રીમંડળના મંત્રીઓ ઉપસ્થિત રહેશે
રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા અભય ભારદ્વાજનું ગઇકાલે કોરોનાથી નિધન થયું હતું. આજે બપોરે 1થી 3 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને અંતિમદર્શન માટે રખાશે. મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત મંત્રીમંડળના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. 50 પરિવારજનોની હાજરીમાં અંતિમક્રિયા કરાશે.
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ગઇકાલે નિધન થયું હતું. તેમની છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની સારવાર ચાલી રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
કોણ હતા અભય ભારદ્વાજ?
અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં પણ રોલ કર્યો હતો. 1977થી જનતા પાર્ટીથી સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કુરૂક્ષેત્રમાં અખિલ ભારતીય લો ડિબેટમાં 41 યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. 1977માં જનતા પાર્ટીના શાસન વખતે ૨૩ વર્ષની વયે રાજકોટ જિલ્લા જનતાપક્ષના મંત્રી બન્યા હતા.
ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી પણ બન્યા હતા. વકીલાત દરમિયાન 210 જેટલા જૂનિયર હોવાનો વિક્રમ તેમના નામે હતો. શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં અભય ભારદ્વાજનો મહત્વનો રોલ હતો. રાજકોટ બાર એસો.માં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા હતા. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂક પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.
આફ્રિકાના યુગાન્ડામાં થયો હતો જન્મ
અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ 2 એપ્રિલ 1954નાં રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં થયો હતો. તેઓ નાનપણથી અભ્યાસમાં રૂચિ ધરાવતાં હતા. જેને કારણે યુગાન્ડા સરકારે તેઓને ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી.
18 વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતાં
તેઓ મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કરી સંજોગોના કારણે એરોનોટીકલ એન્જિનિયરીંગ છોડી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફિલોસોફીનો અભ્યાસ કરી સ્નાતક થયા હતાં. માત્ર 17 વર્ષની વયે જનસતામાં જોડાયા અને 18 વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતાં.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત મિત્ર
તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત મિત્ર હતા અને તેઓ પરશુરામ સંસ્થાનના સ્થાપક પણ હતા. તેમના પરિવારમાંથી તેઓ અને નીતિન ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. લો કમિશનના તેઓ સદસ્ય પણ રહી ચુક્યા છે. કોમી રમખાણો વખતે સરકાર તરફથી તેઓ ઘણા કેસ પણ લડી ચૂક્યા છે. સ્વ.ચીમનભાઇ શુક્લના ભાણેજ છે. હાલ તેઓ રાજ્યના નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ઓળખ ધરાવે છે.