શીયાળો શરુ થઇ ગયો છે ત્યારે સ્વાસ્થયને લઇને લોકો અચાનક જ જાગૃત બની ગયા છે. અથવા તો એમ પણ કહી શકાય કે લોકો ઠંડીની ઋતુને કસરત, યોગા અને શરીરને મજબૂત બનાવવા માટે યોગ્ય માને છે. પરંતુ એક મહિલા એવી પણ છે જે બારેમાસ યોગાના ક્લાસ ચલાવે છે અને તે પણ બીલકુલ મફત.
શાળાઓમાં શીખવવામાં આવે છે યોગાના પાઠ
સારુ કાર્ય કરવા માટે સમય અને સંજોગોની રાહ નથી જોવાતી. બસ તેને કરવા માટે લાગણી અને સારી ભાવના જરૃરી છે. આણંદના આરતીબેન પટેલ લાગણીની વ્યાખ્યામાં બરોબર ફીટ બેસે છે. એકબાજુ મસમોટી ફી લઇને યોગા ક્લાસ ચલાવવામાં આવે છે. ત્યાં આરતીબેન અને તેમની ટીમ વિના મૂલ્યે લોકોને યોગ શીખવી રહ્યા છે. ખાસ કરીને આણંદ જીલ્લાની જુદી-જુદી શાળાઓમાં જઇને વિદ્યાર્થિઓને યોગ વિશે માહિતગાર કરે છે. ઉપરાંત તેમની માટે ખાસ યોગા ક્લાસનું આયોજન પણ કરે છે. એટલુ જ નહીં પણ નીયમીત રીતે સવારે 5-30 ક્લાકે તેમનો યોગા ક્લાસ શરૃ થાય છે. તેમાં વીના મુલ્યે કોઇ પણ વ્યક્તિ જોડાઇ શકે છે.
બિમારીઓ સામે રામબાણ ઇલાજ
આજની જનરેશન યોગ્ય આહારના અભાવે અથવા તો યોગ્ય આહારની અધુરી જાણકારીના કારણે અનેક બિમારીના ભોગ બને છે. તેવા સમયે યોગ દરેક રોગની દવા સમાન છે. જુદા-જુદા પ્રકારના યોગા જુદી-જુદી બિમારી માટે ઉપયોગી બની રહે છે. અને તેના કારણે જ આજે વિશ્વ ફલક પર આપાણા યોગને સવિશેષ માનવામાં આવે છે. પરંતુ સાથે-સાથે એ પણ હકીકત છે કે યોગને કમાણીનું માધ્યમ બનાવી આજે બિલાડીના ટોપની જેમ યોગા ક્લાસીસ શરૃ થઇ ગયા છે.
બારેમાસ ચાલે છે યોગા ક્લાસીસ
સામાન્ય લોકને તો યોગા ક્લાસીસની ફી પણ પરવડતી નથી. અને જ્યાં ફ્રી યોગા ચાલે છે. તે શીબીરના સ્વરુપે હોય છે. એટલે કે સપ્તાહ કે વધુમાં વધુ એક માસ. પછી તમારે ઘરે જ યોગ કરવા પડે છે. અને જ્યારે ઘરે યોગ કરવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો કરી નથી શકતા. આવા સમયે આરતીબેન બારેમાસ યોગના ક્લાસીસ ચલાવે છે તે માનવતાનું ઉમદા ઉદાહરણ છે.
સમાજને ઉપયોગી બનોઃ આરતીબેન
આ વીશે વીટીવી વેબ સાથે વાત કરતા આરતીબેન પટેલ કહે છે, દરેક વ્યક્તિ યોગા ક્લાસીસની ફી ભરી નથી શકતી. માટે ઇચ્છા હોવા છતા પણ તે યોગા માટે જોડાઇ નથી શકતી. હા આજે યોગા શીખવાના ઘણા બધા માધ્યમ છે. પરંતુ મોટાભાગે ક્લાસીસમાં જવાથી નીયમીત રીતે યોગા થઇ શકે છે. સમાજમાં બને એટલા ઉપયોગી બનીએ તો સારૃ. અમારો હેતુ પણ યોગાના માધ્યમથી લોકોને મદદ કરવાનો છે. શીયાળીની ઠંડી સવારમાં જ નહીં પરંતુ બારેમાસ યોગ કરીને સ્વસ્થ રહેવાનો આ ઉત્તમ માર્ગ છે.