AAP દ્વારા મને કોઇ કારણ વિના સસ્પેન્ડ કરાઇ, ધર્મેન્દ્ર વાવલિયા મને હેરાન કરતા હતા: કોર્પોરેટર કુંદનબેન
AAP ના સસ્પેન્ડેડ કોર્પોરેટર ભાજપમાં જોડાયા
કુંદનબેન કોઠિયા ભાજપમાં જોડાયા
કમલમ ખાતે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો
AAP ના સસ્પેન્ડેડ કોર્પોરેટર કુંદનબેન કોઠિયા ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપમાં જોડાયાની સાથે જ કુંદનબેન કોઠિયાએ AAPના ધર્મેન્દ્ર વાવલિયા સામે ગંભીર આરોપ કરતાં કહ્યું કે ધર્મેન્દ્ર વાવલિયા મને હેરાન કરતા હતા અને ખોટા ઓડિયો વાઇરલ કર્યા હતા. આજે સવારે જ AAP પાર્ટી દ્વારા કુંદનબેન કોઠિયાને શિસ્ત ભંગના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ બપોર થતાંની સાથે જ કુંદનબેન કોઠિયા ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે એ વાત પણ હાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાઇ રહી છે કે AAPમાં વધુ ડેમજ થાય તે પહેલા જ કોર્પોરેટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેથી એવું દર્શાવી શકાય કે AAP તૂટતી નથી.
કુંદનબેન સાથે પણ AAP નેતાઓએ દુર્વ્યવહાર કર્યો: ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા
AAP ના સસ્પેન્ડેડ કોર્પોરેટર કુંદનબેન કોઠિયાને ખેસ પહેરાવી ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ AAP પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે મહિલાઓનું સન્માન ભાજપની પ્રાયોરિટીમાં રહ્યું છે. AAP દેશ વિરોધી પાર્ટી છે, દેશ વિરોધીઓનું તેમને સમર્થન છે. AAP ઠાલા વચનો આપી છેતરવાનું કામ કરે છે. કુંદનબેન જેવા હજારો લોકોને દેશ સેવા કરવી છે માટે ભાજપમાં જોડાય છે.10 દિવસમાં 5 મહિલા કાર્યકરો AAPમાંથી ભાજપમાં જોડાયા. અગાઉ પણ મહિલા નેતાઓએ AAP નેતાઓ પર આક્ષેપો કર્યા હતા તેવી જ રીતે કુંદનબેન સાથે પણ AAP નેતાઓએ દુર્વ્યવહાર કર્યો છે અમે કોઈપણ રાજકીય નેતાઓને ભાજપમાં જોડાવા આમંત્રણ નથી આપતા પણ દેશના વિકાસમાં ફાળો આપવો હોય તે ભાજપમાં જોડાઇ શકે
ગેરવર્તણૂંક બદલ આમઆદમી પાર્ટીમાંથી કુંદન કોઠિયા સસ્પેન્ડ: ગુજરાત AAP
ગુજરાતમાં આમ આદમીની પકડ ઢીલી પડી રહેલી જણાય છે. આપમાં એક સાંધે ત્યાં તેર તૂટી તેવી સ્થિતિ નિર્માણ પામી છે. સુરતમાં AAPના મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયાને શિસ્તભંગ અને ગેરવર્તણૂંક બદલ આમઆદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે . જે બાદ તેઓ ભાજપમાં આજે જ ભાજપમાં જોડાઈ ગયા છે.
અગાઉ 5 કોર્પોરેટરો જોડાયા હતા ભાજપમાં
થોડા સમય પહેલા એક સાથે આમઆદમી પાર્ટીના 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર ખાતે ભાજપના મુખ્યાલય કમલમ ખાતે બંને આપ કોર્પોરેટર વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ઋત્વિજ પટેલ પણ સામેલ થયા હતા. તેમણે આપના કોર્પોરેટરને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે, સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના કુલ 27 કોર્પોરેટરો છે. જેમાંથી પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાઇ ગયા છે.
8 AAP કોર્પોરેટરોની ગેરહાજરી ઉડીને આંખે વળગી
આ પહેલા ભાજપમાં જે 5 કોર્પોરેટરો જોડાયા છે. તેમને ડિસક્વોલિફાય કરવા માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના બીજા 8 કોર્પોરેટપો પણ ગેરહાજર હતા. જેથી તેમની ગેરહાજરીને લઈને હવે ગંભીર સવાલો ઉઠ્યા હતા. જો કે ગેરહાજર રહેવાના કારણો પણ હાસ્યાસ્પદ હોવાનું સામે આવ્યુ હતું એક કોર્પોરેટરે તો એવું કીધું કે તે આધાર કાર્ડના કામમાં વ્યસ્ત છે. તો બીજા કોર્પોરેટરે એવું કહ્યું કે તેનું વાહન પંચર થઈ ગયું છે. જેથી તે નહી આવી શકે. સાથેજ 6 કોર્પોરેટરોએ એવું કહ્યું તેઓ સામાજિક પ્રસંગમાં ગયા છે.