સુરત પૂર્વની બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવાની ઘટના બાદ આમ આદમી પાર્ટી સતર્ક થઈ ગઈ છે. ઉમેદવારો ફોર્મ પાછા ન ખેચે એટલા માટે અમદાવાદના તમામ ઉમેદવારો સોમનાથ શિફ્ટ કર્યા છે.
સુરતની ઘટના બાદ AAPની ડેમેજ કંટ્રોલ માટે કવાયત
ધાક-ધમકીથી ફોર્મ પરત ન ખેંચે માટે ઉમેદવારોને કરાયા શિફ્ટ
આમ આદમી પાર્ટીએ કેટલાક ઉમેદવારોને સોમનાથ શિફ્ટ કર્યા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. દિવસેને દિવસે રાજકારણ માહોલ ગરમાતો જાય છે. એવામાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પાર્ટીના ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ન ખેંચે એટલા માટે ઉમેદવારોને સોમનાથ લઈ જવામાં આવ્યા છે. અમદાવાદના ઉમેદવારોને સોમનાથ લઈ જવામાં આવ્યા છે. ફોર્મ ખેંચવાની તારીખના આગલા દિવસે જ આપ રણનીતિ અપનાવતાં રાજ્યભરમાં ચર્ચા છે
AAPને મતદાન પહેલા જ નેતાઓ તૂટવાનો ડર
આમ આદમી પાર્ટીને મતદાન પહેલા જ ઉમેદવારો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. અમદાવાદ શહેરના તમામ ઉમેદવારોને છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર ખાતે લઈ જવામાં આવ્યા છે. ઉમેદવારો પોતાની રીતે અથવા તો ધાક ધમકીથી ફોર્મ પાછું ન ખેંચે તે માટે પાર્ટી દ્વારા આ પગલુ ભરવામાં આવ્યું છે. અગાઉ ધારાસભ્યોને સલામત રાખવા માટે હોટલ કે રિસોર્ટમાં લઈ જવાતા હતા. તો આ વખતે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ફોર્મ પરત ન ખેચે એટલા માટે અન્ય શહેરોમાં શિફ્ટ કર્યા છે. સુરતની ઘટના બાદ આમ આદમી પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવા માટે કવાયત હાથ ધરી છે. ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાની 21 તારીખ છે. આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ ઉમેદવારો સોમનાથ જ રહેશે.
સુરત પૂર્વની વિધાનસભાની બેઠકના ઉમેદવારે પાછું ખેચ્યું હતું ફોર્મ
સુરત પૂર્વની વિધાનસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લેતા આમ આદમી પાર્ટીને સીટ ગુમાવવી પડી હતી. સુરતના AAPના કંચન જરીવાલાની ઉમેદવારી પરત ખેંચવાનો મામલો સામે આવ્યો હતો. તેઓએ ભાજપ કે અન્ય કોઈના દબાણમાં આવીને રાજીનામું આપ્યું નથી તેવું જાણાવ્યું હતું.ફોર્મ પરત ખેંચનારા કંચન જરીવાલાએ VTVની વાત ચીતમાં જણાવ્યું હતું કે તેમણે કોઈ પણ દબાણ વગર ફોર્મ પાછું ખેચ્યું છે.
કંચન જરીવાલાનું નિવેદન
સુરતના AAPના કંચન જરીવાલાની ઉમેદવારી પરત ખેંચવાના મુદ્દે કંચન જરીવાલાએ VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ કે અન્ય કોઈના દબાણમાં આવીને મેં ફોર્મ ખેંચ્યું હોવાની વાત ખોટી છે. તેમણે કહ્યું કે, મે કોઇના દબાણમાં આવી ફોર્મ પરત નથી ખેંચ્યુ નથી. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનું મારા વિસ્તારનું સંગઠન જ મારી વિરોધમાં હતું. તેમણે કહ્યું કે, મારા સમાજના લોકો અને અન્ય લોકો આમ આદમી પાર્ટીને રાષ્ટ્રવિરોધી પાર્ટી ગણતા હતા. તેમણે કહ્યું કે, મારી ઉમેદવારી જાહેર થઈ ત્યારબાદ મારા વિસ્તારના કેટલાક AAPના લોકોએ રાજીનામાં આપ્યા હતા અને AAPના નેતાઓને મારી ઉમેદવારી નહીં કરવા અને બીજા ઉમેદવારને જાહેર કરવા જણાવ્યું હતું.