રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી દ્વારા બોલાવામાં આવેલી બુધવારે સંયુક્ત બેઠક પહેલા વિપક્ષની એકતાને મોટો ઝટકો લાગ્યો છે.
રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા મમતાએ દિલ્હીમાં બોલાવી બેઠક
વિપક્ષના સંયુક્ત ઉમેદવાર પર થવાની છે ચર્ચા
આ બે મુખ્યમંત્રીઓ નહીં જોડાઈ આ મીટિંગમાં
રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી દ્વારા બોલાવામાં આવેલી બુધવારે સંયુક્ત બેઠક પહેલા વિપક્ષની એકતાને મોટો ઝટકો લાગ્યો છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા દિલ્હીમાં બોલાવામાં આવેલી વિપક્ષી દળોની બેઠકમાં આમ આદમી પાર્ટી સામેલ નહીં થાય. આમ આદમી પાર્ટીના સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર જોઈએ તો, રાષ્ટ્રપતિ ઉમેદવાર જાહેર થયા બાદ પાર્ટી આ મુદ્દા પર વિચાર કરશે.
આપ પાર્ટી અને ટીઆરએસ મીટિંગમાં નહીં જોડાઈ
સૂત્રોએ એવું પણ કહ્યું છે કે, આમ આદમી પાર્ટી ઉપરાંત, ટીઆરએસ એટલે કે, તેલંગણા રાષ્ટ્ર સમિતિ પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા દિલ્હીમાં બોલાવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેશે નહીં, આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાને રાખીને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 15 જૂનના રોજ એટલે કે, આજે બેઠક બોલાવી છે અને તેને લઈને ગત અઠવાડીયે વિપક્ષના 22 નેતાઓને અને મુખ્યમંત્રીઓને પત્ર પણ લખ્યો હતો.
કોંગ્રેસ પાર્ટી જોડાઈ તેવી શક્યતાઓ
સૂત્રોનું માનીએ તો, આ બેઠકમાં કોંગ્રેસ શામેલ થાય તેવી શક્યતાઓ છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે, જયરામ રમેશ અને રણદીપ સુરજેવાલા આ બેઠકમાં પાર્ટી તરફથી સામેલ થઈ શકે છે. ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી દ્વારા આ બેઠક દિલ્હીમાં કંસ્ટીટ્યૂશનલ ક્લબમાં થશે. રાષ્ટ્રપતિ પદ માટે સંયુક્ત ઉમેદવાર પર ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવામાં આવી છે.
ટીએમસીના તમામ નેતાઓ જોડાશે
ટીએમસી નેતાઓને આશા છે કે, આ બેઠક સફળ રહેશે. એક વરિષ્ઠ ટીએમસી કોંગ્રેસી નેતાએ નામનો ખુલાસો ન આપવાની શરતે કહ્યું કે, તમામ 22 નેતા બેઠકમાં હાજર રહેશે. તો વળી વિપક્ષી દળોના અમુક નેતાઓ સાથે મુલાકાત પણ કરી શકે છે. પણ હજૂ કંઈ નક્કી નથી. મમતાએ જે 22 નેતાઓને પત્ર લખ્યો છે, તેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને માકપા મહાસચિવ સીતારામ યેચૂરી પણ સામેલ છે.