150થી વધુ હોદ્દેદારોએ રાજીનામું આપતા ગુજરાત AAPમાં ખળભળાટ મચ્યો છે, મનામણાં રિસામણાંની કવાયત શરૂ થઈ છે
આણંદ જિલ્લામાં AAPમાં ભડકો
જિલ્લાના તમામ હોદ્દેદારોએ આપ્યું રાજીનામુ
સ્થાનિક સંગઠન પર જોહુકમી ચલાવવાનો આક્ષેપ
હજુ તો વિધાનસભા ચૂંટણીને ઘણી વાર છે ત્યારે ગુજરાતમાં પહેલી વખત પગ પેસારો કરી રહેલી આમ આદમી પાર્ટીને વધુ મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની મોટી વિકેટો ખેરવી બેઠી થયેલી આપમાં જ મોટું ગાબડું પડ્યું છે. આણંદ જિલ્લા AAPના તમામ હોદ્દેદારોએ રાજીનામું આપી દેતા ગુજરાત AAPને મોટો ફટકો પડ્યો છે. કાંકરે કાંકરે પાળ બાંધતી આમ આદમી પાર્ટીમાં પ્રદેશ નેતૃત્વ સામે બળાપો ઠાલવી તમામ હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે.
પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી રાજીનામાનું કારણ
ગુજરાતમાં AAPની ભાગડોર સંભાળી રહેલા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને અન્ય તમામ ગુજરાત AAP મોટા ગજાના નેતાઓ જનસંવાદ કાર્યક્રમ કાર્યક્રમ દ્વારા લોકો સાથે મનમેળ કરી રહ્યા છે. પણ આણંદમાં લોકો સાથે તો આમ આદમી પાટી જોડાઈ પણ જિલ્લા હોદ્દેદારોએ AAPના શીર્ષ નેતૃત્વનો મન મેળ ન થયો અને આ જ કારણ સર જનસંવાદ કાર્યક્રમમાં જિલ્લા હોદ્દેદારોની થયેલી અવગણનાના અપમાનના બદલામાં એકી સાથે તમામ જિલ્લા હોદેદારોએ રાજીનામાં ધરબી દીધા છે. 150થી વધુ હોદ્દેદારોએ રાજીનામાનું કારણ આપતા કહ્યું છે કે ગુજરાતનું સ્થાનિક સંગઠન જોહુકમી કરી રહ્યું છે. પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી દર્શાવતા હજુ પણ વધુ કાર્યકર્તાના રાજીનામાં પાડવાની પૂરેપૂરી સંભાવના છે.
આ પહેલા જુલાઇમાં મહિપતસિંહ ચૌહાણે આપ્યું હતું રાજીનામું
આ અગાઉ પણ ગુજરાત AAPમાં પણ જૂથવાદ છતો થયો હતો. પ્રદેશ AAPના યુવા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણનું પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. હજુ તો આપના યુવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ હતી ત્યાં તો બનાસકાંઠામાં એક કાર્યક્રમમાં થયેલા વિવાદને બહાને મહિપતસિંહ ચૌહાણે રાજુનામું આપી દીધું હતું. પોતાના રાજીનામા અંગે મહિપતસિંહ ચૌહાણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી. બનાસકાંઠાના દાંતા ખાતેના કાર્યક્રમને લઈ વિવાદ થયો હતો. આ રાજીનામાં પાછળ પણ પ્રદેશ નેતૃત્વ જવાબદાર હતું. ગુજરાત AAPની હજુ પૂરતી ટીમ બની નથી. આણંદ જિલ્લાના તમામ હોદ્દેદારોએ રાજીનામાં સોંપી દેતા વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની ખુરશીના પર બેસવાના સપનું કપરું દેખાઈ રહ્યું છે. કારણ કે aap ભેલેને અત્યારથી વિધાનસભા ચૂંટણી માટ સજ્જ દેખાઈ રહ્યું હોય પણ યુદ્ધ લડવા સેનાપતિ સાથે સેના પણ હોવી જરૂરી છે. જે નારાજ હશે તો જીતવું મુશ્કેલ છે.