પાર્ટીનો આરોપ છે કે પોલીસે ફરિયાદની કૉપી નથી આપી તથા AAP દ્વારા નોંધાવાયેલી ફરિયાદ પ્રમાણે કલમ નથી ઉમેરવામાં આવી.
વિસાવદર પોલીસ સ્ટેશને AAP કાર્યકરોનો જમાવડો
કાર્યકરોએ બોલાવી રામધૂન
FIRની કોપી નહીં મળે ત્યાં સુધી નહીં જાય કાર્યકરો
AAP દ્વારા નોંધાવાયેલી ફરિયાદ પ્રમાણે કલમ ન ઉમેરી હોવાનો આક્ષેપ
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર જનસંવેદના યાત્રા દરમિયાન થયેલા હુમલા બાદ પાર્ટી નેતાઓ હવે આરપારના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર ગઈકાલે રાતથી જ ધરણાં આપી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ આખી રાત પોલીસ સ્ટેશનની બહાર રોકાયા હતા.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) July 1, 2021
પોલીસ સ્ટેશન બહાર કાર્યકરોએ રામધૂન બોલાવી
આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે FIRની કૉપી તેમને આપવામાં આવે. પાર્ટીનો આરોપ છે કે પોલીસે ફરિયાદની કૉપી નથી આપી તથા AAP દ્વારા નોંધાવાયેલી ફરિયાદ પ્રમાણે કલમ નથી ઉમેરવામાં આવી. એવામાં FIRની કોપી નહીં અપાય ત્યાં સુધી કાર્યકરો પોલીસ સ્ટેશન બહાર જ બેઠા રહેશે તેવું આહવાહન કરવામાં આવ્યું છે. રાતે ધરણાં દરમિયાન રામધૂન બોલાવવામાં આવી હતી.
બધા વિસાવદર પહોંચો : વિજય સુંવાળા
પાર્ટી નેતાઓ પર થયેલા હુમલાના વિરોધમાં પ્રદેશના આગેવાનોએ કાર્યકર્તાઓને ભેગા થવા માટે આહવાહન કર્યું છે. જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી ત્યાં જ ધરણાં કરવામાં આવશે. નોંધનીય છે કે અત્યારે પણ મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ સ્ટેશનની આસપાસ ભેગા થઈ ગયા છે. હાલમાં જ AAP પાર્ટીમાં જોડાયેલ વિજય સુંવાળાએ વીડિયો શેર કરીને પણ કહ્યું કે આપણે બધાએ હક્ક માટે લડવું પડશે અને બધા જ કાર્યકરોને આહવાહન કરું છું કે બધા જ વિસાવદર પહોંચો.
ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી : કેજરીવાલ
જૂનાગઢની ઘટના મામલે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે જો ઈસુદાન અને મહેશભાઈ પર હુમલા થઈ રહ્યા હોય તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. આ હિંસા તમારી હાર છે. લોકોને સારી સુવિધા આપીને તેમના દિલ જીતવાના કામ કરો, વિપક્ષ પર આ પ્રકારે હુમલાઓ કરીને ડરાવશો નહીં.
વિજય રૂપાણી સાથે વાત કરી : કેજરીવાલ
તે બાદ અરવિંદ કેજરીવાલે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે મેં વિજય રૂપાણી સાથે વાત કરી છે. તેમને FIR દાખલ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવા કહ્યું છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની રક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે.
શું છે આખી ઘટના
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા મોટા પાયે યાત્રા કરવામાં આવી રહી છે, જે હેઠળ જન સંવેદના યાત્રા અત્યારે હાલમાં જુનાગઢમાં પહોંચી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નેતાઓ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. જુનાગઢના વિસાવદરના લેરિયા ગામની આ ઘટના હોવાનું સામે આવ્યું છે. જે સમયે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કારની અંદર ઈસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ ઉપસ્થિત હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટોળું આ કાફલા પર તૂટી પડે છે અને તે બાદ કાર્યકર્તા સાથે મારામારીની સાથે સાથે ગાડીઓના કાચ પણ તૂટેલા જોઈ શકાય છે.