હેડ ક્લાર્ક પરીક્ષા પેપરલીક થવાની ઘટના મામલે AAP નેતા યુવરાજસિંહ જેડેજાએ એક પત્રકાર પરિષદ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓની પાસે ગોપનીય પુરાવા છે.
સાબરકાંઠામાં હેડ ક્લાર્ક પરીક્ષા પેપરલીક થવાની ઘટનામાં મામલો ગરમાયો છે. આ મામલે AAP નેતા યુવરાજસિંહ જેડેજાએ એક પત્રકાર પરિષદ કરી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પગલાં લેવાની બાંહેધરી આપ્યા બાદ યુવરાજસિંહે આ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે
સરકારે પેપર ફુટ્યાનુ સ્વિકાર્યુ છે. પરંતુ સરકારે જે કલમ લગાવી છે તે હળવી કલમ છે. પેપર હિંમતનગરથી પેપર લીક થયુ હતુ.
અસિત વોરાને હટાવવા કરી માંગ
આ પત્રકાર પરિષદમાં યુવરાજ સિંહે કહ્યું હતું કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને હટાવો. તેમણે કહ્યું હતું કે
અમે ગૃહરાજ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.
મારી પાસે ગોપનીય પુરાવા
તેમણે કહ્યું હતું કે મારી પાસે ગોપનિય પુરાવા છે તે અમે ગૃહ રાજ્ય મંત્રીને આપીશુ.
હાલ તો તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરા પાસાથે ગૌણ સેવા અધ્યક્ષનો ચાર્જ લઈ લેવામાં આવે અને
ગૌણ સેવા અધ્યક્ષ તરીકે બીજી વ્યક્તિને બનાવવામાં આવે તેવી માંગણી તેમણે કરી હતી.
અસિત વોરા સામે પણ તપાસ થવી જોઈએ
યુવરાજસિંહે કહ્યું હતું કે પોલીસે હજુ વચેટિયાઓને જ પકડ્યા છે. મેઇન લોકોને પકડવાના બાકી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર અમને વિશ્વાસ છે.
પેપર સોફ્ટ કોપીમાં ફરતુ હતુ
સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે પેપર સોફ્ટકોપીમાં ફરતું હતું જેની કોઈ તપાસ કરી રહ્યું નથી. આ મુદ્દે તપાસ થઈને જે પણ ગુનેગારો છે તેમને સજા થવી જોઈએ. જો આ જ રીતે પેપર ફેલાવાનો વ્યાપ વધુ હોત તો પરીક્ષા રદ થવી જોઈએ.
આર્થિક વગના કારણે વિદ્યાર્થીઓએ પેપર ખરીદ્યા
તેમણે જણાવ્યું હતું કે આટલી કોન્ફિડેન્સિયલ માહિતી રાજકીય વગ વગર બહાર ન આવી શકે. આરોપીઓ રાજકીય વગ અને આર્થિક વગ ધરાવતા હોય શકે. તેમણે કહ્યું હતું કે મુખ્ય સૂત્રધાર સાબરકાંઠા જિલ્લાના જ હોઈ શકે. તપાસ સુધી આસિત વોરાને પદ્દ પરથી દૂર કરવા જોઈએ
ઉગ્ર આંદોલનની ચીમકી
તેમણે ધમકી ઉચ્ચારી હતી કે આસિત વોરા સામે પગલાં નહિ લેવાય તો થશે ઉગ્ર આંદોલન. અમે ઈચ્છીએ છીએ કે કેસ હાઈકોર્ટમાં ચાલે. આવા લોકો સામે રાજદ્રોહ જેવી કલમો લાગવી જોઈએ. સાથે તેમણે કહ્યું હતું કે આ કેસમાં હિંમતનગરના શિક્ષકની સંડોવણી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલીક ગોપનીય બાબતો હજુ મારી પાસે છે. અને મોટા આકાઓ સુધી હજુ સુધી પોલીસ નથી પહોચી. બિન સચિવાલયનું પેપર ફૂટ્યું તે વખતે પણ કોઈ કાર્યવાહી ન થઇ. આ વખતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પગલાં લેશે તેવી અમને ખાતરી છે.
10 આરોપીમાંથી 6 લોકોની ધરપકડ
તેમણે પત્રકારોને કહ્યું હતું કે આ કેસમાં અત્યારસુધીમાં 10માંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં મહેશ પટેલ (ન્યૂ રાણીપ), ચિંતન પટેલ(પ્રાંતિજ) કુલદીપ પટેલ (કાણિયોલ, હિંમતનગર) ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલ (હિંમતનગર)ની ધરપકડ કરાઈ છે. શંકાસ્પદ આરોપીઓને નાસી કે છટકી જવાની તક નથી અપાઈ. 24થી વધારે પોલીસની ટીમો કાર્યરત હતી. ગુનામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફીથી 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો. આ કાંડમાં મુખ્ય આરોપી તરીકે 10 વ્યક્તિ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પેપર લીકનો મામલો સામે આવ્યો હતો. મામલો સામે આવતાં જ તાત્કાલિક તપાસના આદેશ અપાયા હતા. પેપર લીકમાં સંડોવાયેલા શંકાસ્પદો છટકી ના જાય એ માટે પોલીસ અલર્ટ હતી.