AAP નેતાઓએ કહ્યું ઈસુદાન ભાઈ નશાની હાલતમાં હોય તેવા આક્ષેપ ખોટા છે, ભાજપ તાનાશાહી સરકાર ચલાવી રહી છે.
AAP નેતા ઇસુદાનના થયો બ્લ્ડ ટેસ્ટ
નશાની હાલતમાં હોવાનો આક્ષેપ
ભાજપ મહિલા કાર્યકરોએ કર્યો આક્ષેપ
પરિક્ષણ બાદ નશા અંગે થશે સ્પષ્ટતા
કમલમ ખાતે AAP નેતાઓ કાર્યકર્તાઓ સાથે વિરોધ કરવા પહોંચ્યા તે સમયે એકાએક ઉગ્ર સૂત્રોચ્ચાર અને કમલમ ઘૂસવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠી ચાર્જ કરતાં મામલો બીચક્યો હતો. AAP નેતાઓ પર ગંભીર આરોપ કરતાં શ્રદ્ધા રાજપુતે કહ્યું હતું કે નશાની હાલતમાં AAP નેતાઓ ગેરવર્તન કરી રહ્યા હતા. વધુમાં શ્રદ્ધા રાજપુતે AAP નેતાએ મહિલા સાથે ગેરવ્યવહાર કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
પોલીસ ઈસુદાન ગઢવીને સિવિલ ચેકઅપ માટે લઈ ગઈ
દારૂના નશાનો આરોપ લાગતા પોલીસ ઈસુદાન ગઢવીને સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જઈ હતી.જ્યાં ઈસુદાનના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. બ્લડ ટેસ્ટ બાદ સાચું તથ્ય સામે આવશે તે નક્કી છે. હાલમાં સમગ્ર મામલે આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે.હાલ મળતી માહિતી અનુસાર AAP નેતા ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે. બલ્ડ રિપોર્ટ FSLમાં મોકલાયો છે જે 24 કલાક બાદ આવશે.
ઈસુદાનભાઈ ક્યારેય નશો કરી શકે નહી: AAP નેતા યોગેશ જાદવાણી
કમલમ ખાતે AAP દ્વારા વિરોધ પ્રદર્શનનો મામલે ઇસુદાન ગઢવી પર દારૂના નશામાં હોવાનો અને છેડતીનો આરોપ લાગી રહ્યો છે ત્યારે AAP નેતા યોગેશ જાદવાણીએ કહ્યું છે કે અમારા પ્રદેશ કક્ષાઓના નેતાઓએ કમલમમાં પેપરલીક કાંડ માટેની રજૂઆત કરવા પહોચ્યા હતા.ભાજપના નેતાઓએ આપ નેતાઓ પર જુઠ્ઠા આક્ષેપ લગાવ્યા છે. જાદવાણીએ બચાવ કરતાં કહ્યું હતું કે ઈસુદાનભાઈ ક્યારેય નશો કરી શકે નહી. ગુજરાતમાં તાનાશાહીની રાજનીતિ ભાજપ કરી રહ્યું છે.ભાજપ ખોટા આરોપો લગાવી છબી ખરાબ કરવાના પ્રયાસો કરી રહી છે.
દરવાજો તોડીને AAP નેતાઓ કેવી રીતે કમલમમાં ઘૂસ્યા તેનો EXCLUSIVE વીડિયો VTV પાસે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પહેલા AAP નેતાઓ કાર્યકરો સાથે કમલમની બહાર ટોળે વળી વિરોધ કરી રહ્યા હતા. પણ એકાએક દરવાજા પરથી કાર્યકરો કમલમમાં ઘૂસતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
આપના નેતાઓએ કમલમનો કર્યો હતો ઘેરાવો
AAPના નેતાઓ અને કાર્યકરો આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કર્યો હતો. જો કે પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી તેમની ઉપર લાઠીચાર્જ કર્યો હતો જેમાં આપના કેટલાક નેતાઓને ઈજા થઈ હતી.પોલીસ લાઠી ચાર્જમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની પીઠમાં સોળ ઉઠી ગયા હતા.જ્યારે અન્ય કેટલાક કાર્યકરોના માથા પણ ફૂટ્યાં હતા. આપના ઉગ્ર વિરોધ વચ્ચે પોલીસે ઇસુદાન ગઢવી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. માત્ર એટલું જ નહીં પોલીસે કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવી પડી હતી.
ઈસુદાન,ગોપાલ ઈટાલિયા સહિતની નેતાઓની અટકાયત
મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના આપના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા છે. આજની આ ઘટના બાદ ગુજરાત આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવા બદલ પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.