પંજાબ સર કર્યા બાદ AAP હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાના પ્રયાસો કરશે ત્યારે અહીં સવાલ ઉભો થાય છે કે આખરે AAPની નજર કેમ ગુજરાત પર છે અને એ માટે કેવા પ્રકારની કવાયત કરી રહ્યું છે.
વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે ગુજરાતમાં જામ્યો રાજકીય માહોલ
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત પ્રવાસે
AAPની નજર કેમ ગુજરાત પર અને એ માટે કેવી કવાયત કરી રહ્યું છે?
જણાવી દઇએ કે, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે અમદાવાદ પૂર્વમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે બંને મુખ્યમંત્રીઓ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. જ્યાં ગુજરાત આપના નેતાઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યારે હવે તેઓ અમદાવાદનાં પૂર્વ વિસ્તાર નિકોલ અને બાપુનગરમાં ભવ્ય રોડ શો યોજશે.
જાણો AAPની ગુજરાત પર કેમ નજર?
એક સમયે મનપાની ચૂંટણીમાં સુરતમાં AAPએ જીતી હતી 27 બેઠકો
દિલ્હી અને પંજાબમાં ભવ્ય જીત હાંસલ કર્યા બાદ હવે ગુજરાત પર AAPની નજર કેમ છે તે અંગે વિગતવાર જણાવીએ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ધીમે-ધીમે વ્યાપ વધી રહ્યો છે. કારણ કે, ગુજરાતમાં જ્યારે છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. ત્યારે તમામ છ કોર્પોરેશન અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરામાં ભાજપનો કેસરિયો લહેરાયો હતો. આ ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક પરિણામ સુરતનું રહ્યું હતું. કારણ કે, તેમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો અને આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી મુખ્ય વિપક્ષ તરીકે ઊભરી આવી હતી. જ્યારે અમદાવાદમાં AIMIMએ કોંગ્રેસની બેઠકોમાં ગાબડું પાડી 4 સીટો જીતી હતી. ત્યારે હવે આ વખતે સુરત બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં સફળતા મેળવવા માટેની AAPએ પૂર્વ તૈયારી કરી લીધી છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષથી AAP તૈયારી કરી રહી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં AAPને ગુજરાતમાં સુરત સિવાય સફળતા નથી મળી. આથી, અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં રાજનીતિ માટે જમીન શોધી રહ્યાં છે. દિલ્લી અને પંજાબની સરકારના નિર્ણયો મારફતે ગુજરાત મોડેલનો જવાબ આપવાની આમ આદમી પાર્ટી રણનીતિ ઘડી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરશે
આમ આદમી પાર્ટીના વિશ્વસનીય સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આમ આદમી પાર્ટી પંજાબમાં શાનદાર જીત બાદ હવે ગુજરાતમાં ભાજપ સરકાર સામે વધુ મજબૂતાઈથી લડવાની રણનીતિ બનાવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરશે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા નક્કી કરાયેલા સંભવિત કાર્યક્રમ મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે ભવ્ય (2 એપ્રિલ) રોડ શો કરશે. વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે ગુજરાતમાં હવે બરાબરનો ચૂંટણી માહોલ જામ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ હવે વધવા લાગ્યાં છે. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન એ બંને નેતાઓ 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે.
ગુજરાત માટે AAPની કેવી કવાયત?
AAPના નેતાઓ વીજળીની સમસ્યા, પોલીસ ગ્રેડ પે, બેરોજગારી મુદ્દે આક્રમક થયા છે. ખેડૂતોને સમયસર વીજળી મળી રહે તે માટે AAPએ સક્રિયતાથી મુદ્દો ઉઠાવ્યો છે. પંજાબમાં મળેલી જીતની ગુજરાતમાં પણ મોટી ઉજવણી કરાઇ હતી. દિલ્હી બાદ હવે પંજાબ મોડેલની AAPના નેતાઓના મુખે સતત ચર્ચા ચાલી રહી છે. એ માટે સોશિયલ મીડિયા પર દિલ્હી અને પંજાબ સરકારના નિર્ણયોનો સતત પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અંગે મનિષ સિસોદિયાએ પણ સરકારને પડકાર ફેંક્યો છે. કોંગ્રેસના કેટલાંક નેતાઓનો સંપર્ક કરીને તેઓને પણ પક્ષમાં લેવાના AAP પ્રયાસ કરી રહ્યું છે. BTP સાથે ગઠબંધન કરીને આદિવાસી મત પરોક્ષ રીતે મેળવવા માટેની પણ AAP રણનીતિ ઘડી રહ્યું છે.
Gujarat | Delhi CM and AAP national convener Arvind Kejriwal and Punjab CM Bhagwant Mann visit Sabarmati Ashram in Ahmedabad. The two leaders also spun the Charkha at the Ashram. pic.twitter.com/uhivwNavwP
જાણો શું છે આમ આદમી પાર્ટીનો અમદાવાદમાં 2 દિવસનો કાર્યક્રમ?
2 એપ્રિલ (નિકોલથી બાપુનગર સુધી AAPનો રોડ શો)
સાંજે 4 વાગ્યે નિકોલ ખાતે રોડ શો
આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિત અંદાજે 50 હજાર લોકો હાજર રહેશે
અમદાવાદમાં AAPની તિરંગા યાત્રાનું આયોજન
કેજરીવાલનો આજનો રોડ શો રૂટ
ખોડિયાર મંદિર, નિકોલ ગામ - જીવનવાડી, શ્રી સરદાર પટેલ પ્રતિમા - ટોરેન્ટ પાવર, ઉત્તમનગર ચાર રસ્તા - સ્વસ્તિક સરિતા સોસાયટી - સરદાર મોલ - એપ્રોચ ચાર રસ્તા - બાપુનગર
3 એપ્રિલ
સવારે 10 વાગ્યે જશે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર
ત્યાર બાદ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે
સાંજે 6 વાગ્યે દિલ્હી જવા રવાના થશે
(સંદિપ પાઠક)
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2 દિગ્ગજોને સોંપી છે મહત્વની જવાબદારી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે તાજેતરમાં જ AAP દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યાં હતાં. જેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2 દિગ્ગજોને મહત્વની જવાબદારી સોંપી હતી. જેમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પ્રો.સંદિપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યાં છે. સંદિપ પાઠકને ગુજરાતની તમામ જવાબદારી સોંપાઇ છે. સંદિપ પાઠક પંજાબમાં AAPની જીતના આર્કિટેક છે. સંદિપ પાઠક પંજાબથી AAPના રાજ્યસભાના ઉમેદવાર પણ છે. આ સાથે સહ પ્રભારી ગુલાબસિંહ યાદવને ચૂંટણી ઇન્ચાર્જ બનાવ્યાં છે. આ અંગે આમ આદમી પાર્ટીએ સત્તાવાર જાહેરાત કરી હતી.
AAPએ 9 રાજ્યોમાં સંગઠનની કરી હતી જાહેરાત
આમ આદમી પાર્ટીએ તેના રાષ્ટ્રીય વિસ્તરણ માટે 9 રાજ્યોમાં સંગઠનની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતમાં કેજરીવાલે તેમના સૌથી વિશ્વાસુ લડાયક સંદીપ પાઠકને મેદાનમાં ઉતાર્યા હતાં પટિયાલાના ધારાસભ્ય ગુલાબસિંહને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા હતાં કે જેઓ 2016થી ગુજરાતમાં પાર્ટીના સંગઠન માટે કામ કરી રહ્યાં છે, જ્યારે પંજાબના આમ આદમી પાર્ટીના 'ચાણક્ય' ગણાતા અને રાજ્યસભામાં મોકલવામાં આવેલા ડૉ. સંદીપ પાઠકને ગુજરાતમાં પ્રભારી બનાવવામાં આવ્યાં છે.