AAPની એન્ટ્રીથી અમરેલી બેઠક પર બરાબરનો ચુંટણી જંગ જામ્યો છે. ત્યારે આ વખતે કોંગ્રેસ અમરેલીનો ગઢ જીતી શકશે ?
કોંગ્રેસ અમરેલીનો ગઢ જીતી શકશે ?
AAPના આગમનને લઇ જંગ બન્યો સવાયો
પરેશ ધાનાણી માટે ચોથી વખત બેઠક જીતવી કપરા ચઢાણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને અમરેલી બેઠક પર બરાબરનો ચુંટણી જંગ જામ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના આગમનને લઇને જંગ સવાયો બન્યો છે. કારણ કે આપ અનેક પડકારોને લઇને ઘેરી રહ્યું છે બીજી બાજુ અનામત આંદોલનનું અસ્તિત્વ ન હોવાથી વિધાનસભામાં વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા અને કોંગ્રેસના આગેવાન પરેશ ધાનાણી માટે ચોથી વખત આ બેઠક જીતવીએ કપરા ચઢાણ સાબિત થઇ રહી છે. આપ કોંગ્રેસના સેફ ગણાતા મત પર તરાપ મારી શકે છે.
અમરેલીની બેઠક પર બરાબરની ટક્કર
અમરેલી બેઠક કોંગ્રેસમાં પરેશ ધાનાણી તો ભાજપે અમરેલીની બેઠક પરથી કૌશિક વેકરિયાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે AAPએ રવિ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. જેને લઇને બરાબરની ટક્કર જામી છે. આ ત્રણેય પક્ષોના ઉમેદવારો પાટીદાર સમાજના છે અને આ મતક્ષેત્રમાં અડધાથી વધુ મતદારો પાટીદારો સમાજના છે. ત્યારે ધાનાણી અને કોંગ્રસનો ગઢ ગણાતા અમરેલીના મુખ્યમાર્ગ પર મોટા મોટા હોર્ડીન્ગ લગાવવામાં આવ્યા છે. જેમાં પરેશ ધાનાણીએ કરેલા કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પરેશ ધાનાણીના સમર્થકોને જીતનો વિશ્વાસ
પરેશ ધાનાણીના સમર્થકો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. તેઓના મતે જો ગત વિધાનસભામાં કોંગ્રેસની જીત થઇ હોત તો પરેશ ધાનાણી મુખ્યમંત્રી બની શક્યા હોત. વધુમાં ધાનાણીએ કહ્યું કે આ ચૂંટણી અહંકારી શાસકો અને ગુજરાતની જનતા વચ્ચેની લડાઈ છે. જેમાં આ વખતે પણ જનતા મને જીત અપાવશે અને પરિવર્તનનો પવન ફૂંકાશે. મહત્વનું છે કે અમરેલી વિધાનસભા બેઠક પર કોંગ્રેસે સતત પાંચમી વાર પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. જાયન્ટ કિલર ગણાતા પરેશ ધાનાણીએ 2017 નું પુરાવર્તન અમરેલી જિલ્લો કરશે તેવો વિશ્વાસ અને આ વખતે 2022 માં 125 બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બનતી હોવાનો અગાઉ દાવો કર્યો હતો.
વેકરિયાના ધાનાણી પર આકરા પ્રહારો
બીજી બાજુ વેકરિયાએ ધાનાણી પર આકરા પ્રહારો કર્યા હતા અને ધાનાણીએ આ મતવિસ્તાર માટે કોઈ કામ ન કર્યું હોવાનો દાવો કર્યો હતો. વધુમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો શ્રેય પોતાના નામે લેવાનો પ્રયાસ કરાતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ઉપરાંત આપના ઉમેદવાર રવિ ધાનાણી પર જિલ્લામાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને હું ખેડૂતનો દીકરો છું આ ખેડૂતો અને કૃષિ ઉદ્યોગ સાથે નજીકથી મારે નાતો છે. ખેડૂત વર્તમાન સરકારથી કંટાળી ગયા હોવાથી ચોક્કસ પરિવર્તન આવશે.