અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ સતત બીજી વાર દિલ્હીમાં પ્રચંડ બહુમતી હાંસલ કરી છે. 16 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ દિલ્હીના રામલીલા મેદાનમાં ત્રીજીવાર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપે શપથ લેશે. સતત બીજી વાર જીત બાદ આપ (AAP) નો ક્રેઝ પણ સામાન્ય લોકોની વચ્ચે વધ્યો છે.
આમ આદમી પાર્ટીએ સતત બીજી વાર દિલ્હીમાં પ્રચંડ બહુમતી હાંસલ કરી
AAPનો દાવો, જીત મેળવ્યા બાદ 24 કલાકની અંદર 10 લાખથી વધારે લોકો આપ સાથે જોડાયા
પાર્ટીનો દાવો છે કે જીત મેળવ્યા બાદ 24 કલાકની અંદર 10 લાખથી વધારે લોકો આપ સાથે જોડાયા છે. આપ (AAP) ના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ગુરુવારે એક ટ્વિટ કરવામાં આવ્યું. ટ્વિટમાં કહેવામાં આવ્યું, 'પાર્ટીની મોટી જીતના 24 કલાકની અંદર 10 લાખથી વધારે લોકો આપ સાથે જોડાયા છે.'
તેની સાથે જ આપે દિલ્હીના પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રી સારવારના પોતાના નિર્ણયની પ્રશંસા કરતા લખ્યું, ' અરવિંદ કેજરીવાલની દિલ્હી સ્કીમને ધ્યાને લેતા હવે મધ્યપ્રદેશ સરકાર પણ દુર્ઘટનામાં ઘાયલ દર્દીઓની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રી કરવાની યોજના શરૂ કરવા જઇ રહી છે.'
આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે 16 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં 'બેબી મફલરમેન' ને આમંત્રિત કરવામાં આવ્યો છે. આ અરવિંદ કેજરીવાલની જેમ મૂંછ બનાવી અને ટોપી-ચશ્મા પહેરેલા અવ્યાન તોમરની તસવીર મતગણતરીના દિવસે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. નોંધનીય છે કે, દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70 બેઠકોમાંથી 62 બેઠકો પર જીત મળી છે અને 8 બેઠકો ભાજપને મળી છે.