ગુજરાતમાં કેજરીવાલની સરકાર બનવાની ભવિષ્યવાણી વચ્ચે AAPને વધુ એક ઝટકો લાગ્યો છે. કારણ કે ચૂંટણીના બે જ દિવસ અગાઉ અબડાસા બેઠકના AAP ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું છે.
વિધાનસભા ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો
અબડાસા બેઠકના AAP ઉમેદવારનું ભાજપને સમર્થન
કેજરીવાલે કરી ગુજરાતમાં સરકાર બનવાની ભવિષ્યવાણી
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં દરેક પક્ષમાં રાજીનામાના કારણે ઉતાર-ચઢાવ શરૂ છે. ત્યારે વધુ આમ આદમી પાર્ટીને એક વખત ચૂંટણી પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. કચ્છની અબડાસા બેઠકના AAPના ઉમેદવાર વસંત ખેતાણીએ ચૂંટણી પહેલાં ભાજપને સમર્થન કર્યું છે. તેઓએ ભાજપના સમર્થન સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જેના ફોટો પણ સામે આવ્યા છે.
વસંત ખેતાણીના ભાજપનો ખેસ ધારણ કરેલા ફોટા સામે આવ્યા
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર બે જ દિવસ બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ભારે વેગવંતો બન્યો છે. એવામાં કચ્છની અબડાસા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણીના ભાજપનો ખેસ ધારણ કરેલા ફોટા સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કદાચ આજ રોજ PM મોદીની સભામાં વસંત ખેતાણી ભાજપને ટેકો કરવાની જાહેરાત કરી શકે છે.
થોડાંક દિવસ અગાઉ AAPના પ્રદેશ સચિવ રાજભા ઝાલા પણ ભાજપમાં જોડાયા હતા
તદુપરાંત તાજેતરમાં જ થોડાંક દિવસ અગાઉ જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ (રાજકોટ) અને રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ રાજભા ઝાલા ભાજપમાં જોડાયા હતા. એ સિવાય વાંસદા તાલુકાના પણ 100થી વધુ AAP કાર્યકરો પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાતની ચૂંટણી પહેલા સંગઠનના મહામંત્રી સહિત તમામ પદાધિકારીઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, હજુ તો ગઇકાલે જ AAPનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓએ ગઇકાલે ગુજરાતમાં સરકાર બનવા અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. અરવિંદ કેજરીવાલે ગઇકાલે મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે, 'ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે.' આ સાથે તેઓએ આ ભવિષ્યવાણી મીડિયા સમક્ષ લેખિતમાં જાહેર કરી હતી.
ગુજરાત આ વખતે પરિવર્તન ઇચ્છે છે: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 'ત્રણ વાત સ્પષ્ટ છે કે, પહેલું કે આમ આદમી ડરેલો છે, બીજું -કોંગ્રેસનાં વોટર શોધશો તો પણ નહીં મળે અને ત્રીજું - ભાજપના મોટા પ્રમાણમાં મતદારો આમ આદમી પાર્ટીને મત આપવા જઇ રહ્યાં છે. ગુજરાત આ વખતે પરિવર્તન ઇચ્છે છે.'
મારી બધી ભવિષ્યવાણી સાચી પડી: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અત્યાર સુધી પંજાબ અને દિલ્હીમાં જેટલી ભવિષ્યવાણી મેં કરી છે તે બધી સાચ્ચી પડી છે. હું આજે ગુજરાત માટે ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. 27 વર્ષનાં કુસાશન બાદ ગુજરાતની જનતાને રાહત મળશે. તેમણે વધુમાં કહ્યુ કે, અમારી સરકાર બનશે તો 31 ડિસેમ્બર સુધીમાં જૂની પેન્શન સ્કિમ લાગુ કરવાનું નોટિફિકેશ જાહેર કરી દેવામાં આવશે. પંજાબમાં પણ થયું છે અને ગુજરાતમાં પણ થશે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટનાં કર્મચારીઓની તમામ સમસ્યાઓને ઉકેલવામાં આવશે.