રાજ્યમાં રાશન કાર્ડ પર પુરતુ રાશન લોકોને મળતું નથીઃ AAP
અત્યાર સુધી કૌભાંડ ચાલતુ હોવાની માત્ર શંકા હતીઃ AAP
ભાવનગરમાંથી AAP નેતાઓ કૌભાંડ ઝડપી પાડ્યું છેઃ AAP
ભાવનગરમાંથી ઝડપાયેલ સરકારી અનાજના જથ્થાનો મામલે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજીને રાહતદરના સરકારી અનાજમાં કૌભાંડનો આક્ષેપ લગાવ્યો. વધુમાં જણાવ્યું કે રાજ્યમાં રાશન કાર્ડ પર પુરતુ રાશન લોકોને મળતું નથી. અત્યાર સુધી કૌભાંડ ચાલતુ હોવાની માત્ર શંકા હતી પરંતુ ભાવનગરમાંથી AAP નેતાઓએ કૌભાંડ ઝડપી પાડ્યું છે.
મહત્વનું છે કે ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા અનાજ કૌભાંડ રેકી કરીને ઝડપી પાડવામાં આવ્યું હતું. આ મામલે AAPએ પત્રકાર પરિષદ દરમિયાન પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાતમાં સરકારી ચોખાના જથ્થાની ટ્રકો ખાનગી કંપનીમાં ઠલવાય છે. પંજાબમાં ઘરે ઘરે રાશન પહોંચાડવાનું શરૂ કરાયું છે, ગુજરાતમાં રાશન માફિયા બરોબર અનાજ વેચી નાખે છે. ગુજરાતમાં પણ ઘરે ઘરે અનાજ પહોંચાડવાની વ્યવસ્થા કરાય છે.
અમે ફેક્ટરીની બહાર રૂબરૂ ટ્રક જોઇ- મહીપાલ સિંહ
ભાવનગર AAPના નેતા મહીપાલ સિંહનું નિવેદન આપતા જણાવ્યું કે અનાજ ખાનગી કંપનીમાં મોકલવામાં આવતું હોવાની માહિતી મળી હતી. સરકારી ચોખાનો જથ્થો ફેક્ટરીમાં મોકલવામાં આવે છે. આ અંગે અમે કાલે રૂબરૂ જઇને જોયું તો ફેક્ટરી બહાર ટ્રક પડી હતી. અમે પોલીસને જાણ કરી હતી.પોલીસે તપાસ કરી તો ચોખા ગરીબોના હક નીકળ્યા હતા. અગાઉ પણ અહીંથી ટ્રક પકડાયા હોવાનું પણ જણાવ્યું હતું.
AAP દ્વારા રેકી કરવામાં આવી હતી
મહત્વનું છે કે ભાવનગરમાં રેશનિંગ ચોખાનું કૌભાંડ ઝડપાયું હતું. ભાવનગરના ચિત્રા GIDC વિસ્તારમાંથી AAPના કાર્યકરોએ રેકી કરી અનાજના જથ્થા સાથેના ટ્રકને ઝડપી પાડ્યો હતો. બીપીએલ કાર્ડના ચોખા ભરેલો ટ્રક બારોબાર ફેક્ટરીમાં પહોંચી રહ્યો હતો..આ ચોખા રેશનિંગની દુકાનમાં રસ્તા ભાવે ગરીબ લોકોને આપવાના હોય છે તે બારોબાર વેચાઈ રહ્યો હોવાનો આપે આક્ષેપ લગાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં થોડા દિવસ અગાઉ જ ઘઉંનું કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે ફરીથી એક વખત ચોખાનું કૌભાંડ ઝડપાતા પુરવઠા વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા.