કોરોના વાયરસ મહામારીમાં બોલિવૂડ સેલિબ્રિટીસ પોતાની રીતે દિલ ખોલીને મદદ કરી રહ્યાં છે. કેટલાક દાનની રકમ જાહેર કરે છે તો કેટલાક સ્ટાર્સ ગુપ્ત દાન કરે છે. ત્યારે હવે બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન પણ મદદ માટે આગળ આવ્યો છે.
કોરોના મહામારીને કારણે ભારતમાં સંક્રમણોની સંખ્યા વધતી જઈ રહી છે
લોકડાઉનને કારણે સેલિબ્રિટીસ મદદ માટે આગળ આવી રહ્યાં છે
હવે આ લિસ્ટમાં આમિર ખાનનું નામ જોડાયું છે
આમિર ખાનથી જોડાયેલા સૂત્રો મુજબ તેણે પીએમ રિલીફ ફંડ અને સીએમ રિલીફ ફંડમાં દાન કર્યું છે. સાથે જ તેણે ફિલ્મ વર્કર એસોસિએશન અને કેટલીક એનજીઓમાં પણ દાન કર્યું છે. સૂત્રો દ્વારા આ માહિતી મળી છે. હજી સુધી આમિર ખાને ઓફિશિયલી કોઈ જાહેરાત કરી નથી. આ ઉપરાંત આમિરે પોતાની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના દૈનિક શ્રમિકોને પણ મદદ કરી છે. આમિર ખાન હંમેશા જ કોઈ જાતની પબ્લિસિટી વગર દાન કરવામાં માને છે. આપણામાં કહેવત છેને કે જમણાં હાથે દાન કરો તો ડાબા હાથને પણ ખબર ના પડે. આમિર આ વાતને પૂરી રીતે માની રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, આમિર ખાન સિવાય શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, રિતિક રોશન, વરૂણ ધવન, કપિલ શર્મા, કાર્તિક આર્યન, રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જેવા અનેક કલાકારો આ સંકટમાં મદદ માટે આગળ આવ્યા હતા.
આમિર ખાનની વાત કરીએ તો અભિનેતા ટૂંક સમયમાં ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી કરીના કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષે નાતાલ પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. અત્યારે દુનિયામાં 14 લાખથી વધુ કોરોનાના કેસ છે અને 80 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે. ત્યારે ભારતમાં 120થી વધુ લોકોના મોત થયા છે અને 4700થી વધુ કેસ નોંધાયા છે.