ચીનમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેના લીધે, ત્યાંની ઘણી વસ્તી અસરગ્રસ્ત થઇ રહી છે અને ઘણાં ચીની નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ, કોરોના વાયરસ વિશે ઘણાં મીમ્સ બની રહ્યા છે, જેની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. બીજી તરફ બોલિવૂડ અભિનેતા આમિર ખાને તેના ચીની ચાહકોને કોરોના વાયરસથી બચવા સંદેશ પાઠવ્યો છે.
આમિરે ચીનના નાગરિકોને કરી અપીલ
આમિર ખાને ચીનના લોકોને આ વાયરસથી બચવા કહી આ વાત
કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 76,288 કેસ આવ્યા સામે
આમિરે ચીનના નાગરિકોને વિનંતી કરતો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું, મારા બધા ચીની મિત્રોને મારા નમસ્કાર. જ્યારથી મેં ચીનમાં કોરોના વાયરસ ફેલાવા વિશે સાંભળ્યું છે, ત્યારથી હું ખૂબ જ ચિંતિત છું. હું કેટલાક મિત્રો સાથે સંપર્કમાં છું અને આ આફતને કારણે હું બહુ જ દુખી પણ છું. અને આ બીમારીને કારણે પોતાના પ્રિયજનો ગુમાવનાર લોકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે.
વધુમાં આમિર ખાને કહ્યું, 'મને ખ્યાલ છે કે આ સમય એકદમ મુશ્કેલીભર્યો છે, પણ મને વિશ્વાસ છે કે તંત્ર આ પરિસ્થિતિને દૂર કરવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યું છે. મને આશા છે કે, ચીનમાં ટૂંક સમયમાં જ બધું જ પહેલાં જેવું થઈ જશે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના બધાં ચીની નાગરિકો સાથે છે. તમને બધાંને ખૂબ બધો પ્રેમ. તમારું ધ્યાન રાખો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો.
કોરોના વાયરસથી ઘણા લોકોની હાલત ગંભીર
તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસ ચીનના ઘણાં વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે. જેના કારણે મૃત્યુઆંક 2,345 પહોંચ્યો છે અને 109 વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે રિપોર્ટ્સમાં એવું પણ જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસના કારણે કુલ 76,288 નવા નોંધાયા છે.