પંજાબમાં શાનદાર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે ગુજરાત અને હિમાચલ જીતવા માટે અત્યારથી જ કામે લાગી ગઈ છે.
આમ આદમી પાર્ટી કરી રહી છે વિસ્તાર
હિમાચલમાં અત્યારથી તૈયારીઓ શરૂ
ભાજપ-કોંગ્રેસના નારાજ નેતાઓ પર નજર
પંજાબમાં શાનદાર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે ગુજરાત અને હિમાચલ જીતવા માટે અત્યારથી જ કામે લાગી ગઈ છે. આ જ કારણ છે કે, વિધાનસભાની ચૂંટણી જીતવા માટે પાર્ટી અત્યારથી જ સમગ્ર તાકાત લગાવી રહી છે. આપ હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસને બરાબરની ટક્કર આપવા માટે તૈયાર થઈ રહી છે. આ જ કારણ છે કે, ગુરૂવારે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ધર્મશાળાના પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્ટી તમામ 68 સીટો પર ચૂંટણી લડશે તેવી વાત કરી હતી. ધર્મશાળામાં સત્યેન્દ્ર જૈને રાજ્યના 70 લોકોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા. જેમાં નગરોટાની સ્થાનિક નગર નિગમના ચેરમેન અને ભાજપના નેતા નરેશ વરમાનીને પણ આપ પાર્ટી જોઈન કરાવી હતી.
ભાજપ કોંગ્રેસના નારાજ નેતાઓ પર આપની નજર
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર 2019માં ધર્મશાલામાં પેટાચૂંટણી લડી રહેલા રાકેશ ચૌધરી પહેલાથી જ આપ પાર્ટી જોઈન કરી ચુક્યા છે. ત્યારે તેમને 16 હજાર મત મળ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, રાકેશ ચૌધરી આપમાંથી ચૂંટણી લડ્યા બાદ ભાજપને બરાબરની ટક્કર આપી શકે છે. ધર્મશાળામાં પહોંચેલા જૈને કહ્યું કે, પાર્ટીએ દિલ્હીમાં એ સાબિત કરી દીધું છે કે, ભાજપને હરાવી શકાય છે. પંજાબ અને ગુજરાતની માફક હિમાચલની જનતા સાથે પાર્ટી જમીની સ્તર પર કામ કરી રહી હોવાનો પણ દાવો કર્યો હતો.
અમુક વિસ્તારોમાં આપ મજબૂત
સત્યેન્દ્ર જૈને સ્પષ્ટ કર્યું છે કે, સામાન્ય જનતામાંથી જ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી ઉતારવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ તરફથી આપને પડકાર ન માનવાના સવાલ પર સત્યેન્દ્ર જૈને કહ્યું કે, બંને પાર્ટી પંજાબમાં પણ અમને હળવાશથી લઈ રહી હતી. પણ આપે ત્યાં સરકાર બનાવી છે. કહેવાય છે કે, પંજાબથી અડીને આવેલા કાંગડા અને ઉના જિલ્લામાં આમ આદમી પાર્ટીની સારી એવુ સંભાવના માનવામાં આવી રહ્યું છે.