કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની જ બી ટીમ છે.
AAPએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ: કોંગ્રેસ
ભાજપને ફાયદો કરાવવા તે ગુજરાત આવ્યા: કોંગ્રેસ
ભાજપ નિષ્ફળ રહેતાં બી ટીમ બનીને AAP ગુજરાત આવી: કોંગ્રેસ
કોરોના વાયરસના કેસ ઓછા થતાં જ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારે દોડધામ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી કરવામાં આવશે. એવામાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે ઊભરી આવવા માટે આતુર છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મોટું એલાન કરતાં કહ્યું છે કે બધી જ બેઠકો પર આપ ચૂંટણી લડવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે.
ભાજપ નિષ્ફળ રહી તેથી તેમની બી ટીમ મેદાનમાં આવી છે : કોંગ્રેસ
કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની જ બી ટીમ છે અને ભાજપને જ ફાયદો કરાવવા માટે આપની એન્ટ્રી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પોતે નિષ્ફળ રહેતા હવે તેમની બી ટીમને ગુજરાતમાં ઉતારવામાં આવી છે.
સ્વ.ચીમનભાઈ પટેલ,
શંકરસિંહ વાઘેલા,
સ્વ.કેશુભાઇ પટેલ સહિતના દિગ્ગજ આગેવાનો ભાજપનો વિકલ્પ ના બની શક્યા!
દિલ્હીથી આવેલા ગુજરાતનો વિકલ્પ કેવી રીતે બની શકે?
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાએ પણ ટ્વિટ કરીને કહ્યું કે જે ગુજરાતમાં ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા ભાજપનો વિકલ્પ ન બની શક્યા તો દિલ્હીથી આવેલા કઈ રીતે બની શકશે? વિકલ્પ કોંગ્રેસ જ છે અને કોંગ્રેસ જ રહેવાનો છે.
કેજરીવાલનું મોટું એલાન
પત્રકાર પરિષદને સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે AAP 2022ની ચૂંટણીમાં 182 બેઠક પર ચૂંટણી લડશે. ગુજરાત વિધાનસભાની દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખવામાં આવશે.
ઈસુદાન ગુજરાતનો કેજરીવાલ છે : કેજરીવાલ
આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી જોડાયા બાદ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મને કોઇએ કહ્યું હતું કે, ઇસુદાન ગઢવી ગુજરાતનો કેજરીવાલ છે.
કેજરીવાલની હાજરીમાં ઈસુદાન ગઢવી આપમાં જોડાયા
ગુજરાત પ્રવાસે આવેલ અરવિંદ કેજરીવાલે અમદાવાદ સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક ખાસ બેઠક યોજી હતી, આ દરમિયાન ઈસુદાન ગઢવીએ તેમની સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત પરથી સ્પષ્ટ થયું છે કે, ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીના શ્રી ગણેશ કર્યા હતા.
ગુજરાતમાં બદલાવ લાવવાનો છે : ઈસુદાન ગઢવી
AAPમાં વિધિવત્ રીતે જોડાયા બાદ બોલ્યાં કે ગુજરાતમાં બદલાવ લાવવાનો છે અને તેની માટે જ રાજકારણમાં આવ્યો છું. લોકો કહેતા હતા કે મતદાન તો કરવું છે પરંતુ ગુજરાતમાં એવો કોઈ ત્રીજો વિકલ્પ નથી એટલે કોને મતદાન કરીએ. ત્યારે હું કહું છું કે તમારી સામે હવે એક પ્રમાણિક ત્રીજો વિકલ્પ હું છું. ગુજરાતની જનતાને આહ્વાન કરું છું કે સાથ આપે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતમાં લોકપ્રિય નથી પરંતુ તેની સામે કોઈ વિકલ્પ ન હતો.