પંજાબમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીએ ફરી એક વખત પોતાના પરચમ લહેરાવી દીધા છે. રાજ્યમાં આગામી રાજ્યસભાની ચૂંટણીમાં આપ સરકારના પાંચેય ઉમેદવારો બિનહરીફ થયા છે.
કોઇ પણ રાજકીય પક્ષે રાજ્ય સભાની બેઠક માટે ઉમેદવારો ઊભા રાખ્યા ન હતા
આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં દિલ્હીના રાજીન્દર નગર વિધાનસભા મત વિસ્તારમાંથી ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા, ક્રિકેટર હરભજન સિંહ, સંદીપ પાઠક, સંજીવ અરોરા અને અશોક મિત્તલને મેદાનમાં ઉતાર્યા હતા. આ સાથે જ રાજ્યસભા માટે અન્ય કોઇ રાજકીય પક્ષે પાંચેય બેઠકો માટે ઉમેદવારો ઊભા રાખ્યા ન હતા. આવી સ્થિતિમાં ટેકનિકલ રીતે આપના ઉમેદવારો મતદાન કર્યા વિના જ બિનહરીફ વિજેતા બન્યા છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી આપને 117માંથી 92 સીટો મળી હતી.
જો કે સત્તાવાર જાહેરાત 31 માર્ચે કરવામાં આવશે. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીને 117માંથી 92 સીટો મળી હતી. પંજાબમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની આ જીત બાદ હવે આપ પાર્ટીના 8 સાંસદ છે. આમ આદમી પાર્ટી પાસે પહેલાથી જ દિલ્હીના 3 સાંસદ છે.