ગુજરાતમાં જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવે ત્યારે સૌથી સારુ પરિણામ અમદાવાદ કે સુરત જિલ્લાનું હોય છે. જ્યારે સૌથી ખરાબ પરિણામ છોટાઉદેપુર કે નર્મદા જિલ્લાનું હોય છે. પોતાના જિલ્લાના ખરાબ પરિણામને કારણે દર વર્ષે નર્મદા જિલ્લાની કિરકીરી થાય છે. તેના કારણે આ જિલ્લામાં મોટા પ્રમાણમાં રહેતા તડવી સમાજે એક ગજબનો નિર્ણય કર્યો છે.
એક નિર્ણયની ચારેકોર વાહવાહી
લોકો કરી રહ્યા છે વખાણ
આદિવાસી સમાજનો એક ઠરાવ
આદિવાસી સમાજની બહૂમતિવાળો જિલ્લો એટલે નર્મદા જિલ્લો. આ જિલ્લામાં શિક્ષણનું સ્તર બહુ નીચુ છે. અને તેથી જ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના રીઝલ્ટ આવે છે ત્યારે સૌથી ખરાબ પરિણામ આજ જિલ્લાનું હોય છે. આ જ જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. ઘણીવાર તો એક-બે ટ્રાયલ આપીને પણ વિદ્યાર્થી જ્યારે પાસ થતો નથી તો તે ભણવાનું છોડી મજૂરી કામે લાગી જાય છે. જેના કારણે આ જિલ્લામાં ડ્રોપ આઉટનો રેશિયો પણ ઘણો વધારે છે. દર વખતે કેમ નીચા પરિણામના લિસ્ટમાં નર્મદા જિલ્લો જ હોય છે ? આ અંગે જિલ્લામાં જેની મોટી વસ્તી છે તે તડવી સમાજે એક નિર્ણય કર્યો. એવો નિર્ણય કે જેની તમામ લોકો વાહવાહી કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓને ધ્યાને લઇને લેવાયો નિર્ણય
તડવી સમાજે કરેલા સર્વેમાં એક તારણ બહાર આવ્યું. સમાજે એવું જાણ્યું કે જ્યારે પરીક્ષાનો સમય હોય ત્યારે મોટા ભાગે તડવી સમાજમાં લગ્ન પ્રસંગો હોય છે. અને લગ્ન પ્રસંગમાં ઢોલ-નગારા અને ડીજેના કારણે વિદ્યાર્થીઓ ભણી શક્તા નથી. અને તેના કારણે જ અસર તેમના પરિણામ પર દર વર્ષે આવતી હોય છે. આ બધી કોરાતી ચિંતા વચ્ચે આખાય સમાજે ભેગા થઈ એવો ઠરાવ કર્યો કે આ વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં કોઈ લગ્નનું આયોજન નહીં કરવાનું. કારણ કે આ બન્ને મહિના પરીક્ષાના હોય છે.
પરીક્ષા બાદ જ લગ્ન કરવાની શરૂ કરી પ્રથા
ગરુડેશ્વર તાલુકાના નર્મદા ડેમની આસપાસના ગામોએ એક સામાજિક બેઠક કરીને નક્કી કર્યું કે અત્યાર સુધી આપણે લગ્ન મુહૂર્ત પરીક્ષામાં જ કાઢતા હતા. પરંતુ હવે આપણે બોર્ડની પરીક્ષાના સમયે કોઈ જ મુહૂર્ત નહીં કાઢીએ.પરીક્ષા બાદ જ લગ્ન કરીશું. એક સુરે થયેલી આ વાતને આસપાસના તમામ ગામોએ સ્વીકારી લીધી. જેના કારણે હવે એક નવો જ ચીલો ચિતરાઈ ગયો છે.
સમાજે કરેલા આ નિર્ણયથી લોકો ખુશ
સમાજે કરેલા આ નિર્ણયથી લોકો ખુશ છે. અને તેને ક્રાંતિકારી પગલું ગણાવી રહ્યા છે. સમાજે સ્વયં પોતાના બ્રાહ્મણોને પણ કહી દીધું છે કે પરીક્ષાના સમયે લગ્નનું કોઈ મુહૂર્ત કાઢવું નહીં. આ નિર્ણયને સમાજના પુરોહિતોએ પણ સ્વીકાર્યો છે. જેના કારણે હવે નર્મદા જિલ્લામાં વસતા આદિવાસી અને તેમાય ખાસ કરીને તડવી સમાજના યુવક કે યુવતીના લગ્ન મે મહિનામાં યોજાશે. આ નિર્ણયથી લોકો આનંદીત છે.
72 ગામે આ સામાજિક ઠરાવ પસાર કર્યો
નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં વસતા તડવી સમાજના લગભગ 72 ગામે આ સામાજિક ઠરાવ પસાર કર્યો છે. તો આ જ સમાજના વડીલો એવું કહી રહ્યા છે શૈક્ષણિક રીતે પછાત આ જિલ્લામાં અન્ય સમાજો પણ આવો પ્રયાસ કરે અને પરીક્ષાના દિવસોમાં કોઈ સામાજિક પ્રસંગનું આયોજન ન કરે તો જિલ્લામાં શિક્ષણનું સ્તર ચોક્કસ ઉંચુ લાવી શકાય છે.
તડવી સમાજના આ નિર્ણયની અસર કેટલી થાય છે તેતો સમય બતાવશે. પરંતુ આ પગલું ઉમદા છે. અને તેને વખાણવું જ જોઈએ. જો વિદ્યાર્થીઓ તડવી સમાજે કરેલા આ ઠરાવનો ફાયદો ઉઠાવી ભણતરમાં સારુ ધ્યાન આપે અને સારુ પરિણામ લાવી બતાવશે તો આ નિર્ણયને આવનારી પેઢીઓ વર્ષોના વર્ષો સુધી યાદ રાખશે. અને પોતાના જિલ્લાની જે ખરાબ છાપ છે તે હંમેશા માટે ભૂતકાળ બની જશે.