કોરોના સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. જેના પગલે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 8 લાખથી પણ વધારે કેસ આવી ચૂક્યા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રે હવે નવો નિર્ણય લીધો છે. અહીં કોરોનાની દવા માટે આધારકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. દવાઓની ભારે અછતને ધ્યાનમાં રાખીને અહીંની સરકારે આ નિર્ણય લીધો છે. એટલે કે હવે અહીં દર્દી કે તેના સંબંધીઓને પણ આધારકાર્ડ વિના દવા આપવામાં આવશે નહીં.
કોરોના અંગે મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય
હવે આધારકાર્ડ વિના દર્દીને નહીં આપી શકાય દવા
દવાઓની અછતને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે કે રેમડેસિવીર અને તોસલિજુમાબ દવાઓના બીએમસી હોસ્પિટલમાં ઉપયોગ હવે મંજૂરી બાદ જ કરી શકાશે. આ નિર્ણય બાદ હવે મેડિકલ દુકાનદાર આધારકાર્ડ, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે કોરોના ટેસ્ટ રિપોર્ટ વિના દર્દીને રેમડેસિવીર દવાને વેચી શકશે નહીં. રાજ્ય સરકારે શુક્રવારે આ નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્રમાં અત્યારે આવી છે કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 7862 નવા કેસ સામે આવ્યા છે અને સાથે 226 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના ખાદ્ય અને ઔદ્યોગિક મંત્રી રાજેન્દ્ર શિંગને કહ્યું કે આ નિર્ણય દવાઓની અછતને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
આ રીતે બનાવડાવી શકાશે આધારકાર્ડ
આધારકાર્ડ બનાવવાનું હવે સરળ બન્યું છે. આ માટે સરકારે અનેક જગ્યાએ આધાર કેન્દ્રો બનાવ્યા છે. આધારકાર્ડ બનાવવા માટે સૌ પહેલાં એનરોલમેન્ટ કરવાનું રહેશે. તમે આ વેબસાઈટ http://appointments.uidai.gov.in પર જઈ શકો છો અને તમારી નજીકનું આધાર સેન્ટર શોધી શકો છો. અહીં તમને સેન્ટરના સરનામા અને ફોન નંબર પણ મળી રહેશે. તમે ફોન કરીને તમારી એપોઈન્ટમેન્ટ બુક કરાવી શકો છો.