ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં ગઈ મોડી રાતે કેટલાક અજાણ્યા શખ્સોએ એક જૂની અદાવતમાં બે યુવકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. આ હુમલામાં એક યુવકનું મોત થયું છે તો અન્ય એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન પોતાની બહેનના લગ્નની કંકોત્રી આપવા માટે ભાવનગર આવ્યો હતો તે દરમિયાન આ હત્યા થઈ છે. ઘટનાની વિગત એવી છે કે મૂળ કેરલાગામના વતની અને હાલ કાળીયાબીડ વિસ્તારમાં રહેતા સુઝાનસિંહ પરમાર તેમની બહેનના લગ્નની કંકોત્રી આપવા માટે પોતાના મિત્ર સાથે કાળીયાબીડ વિસ્તારમાં આવ્યો હતો.
તે સમયે અજાણ્યા શખ્સો કે જેમની અગાઉ મૃતક સાથે બોલાચાલી થઈ હતી તેને લઈને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો. તો મૃતકના મિત્ર ભગીરથસિંહ હડીયલ પર આ અજાણ્યો શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ભગીરથસિંહને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આપને જણાવી દઇએ કે મૃતક સુઝાનસિંહે તાજેતરમાં જ એ ડીવીઝન પોલીસ મથકમાં કેટલાક શખ્શોના નામ સાથે અરજી આપીને પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. અરજી આપ્યાના દસેક કલાકની અંદર જ તેની હત્યા થઈ છે. હત્યાના પગલે કાળીયાબીડ વિસ્તારમાં કારડીયા રાજપૂત સમાજના ટોળે ટોળે ઉમટ્યા હતા અને આરોપીઓને જલ્દી પકડી પાડવા માગ કરી.