ગુજરાત હાઇકોર્ટની અનેક ટકોર બાદ પણ લાગે છે અમદાવાદનું AMC તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે. કારણ કે અમદાવાદમાં રખડતા પશુના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે.
અમદાવાદમાં રખડતા ઢોરના કારણે વધુ એક યુવકનું મોત
હાઇકોર્ટની અનેક ફિટકાર બાદ પણ AMC ઘોર નિંદ્રામાં!
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પરિવારની માંગ
AMCની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક સવાર યુવકને રખડતા ઢોરે વધુ એક યુવકનો ભોગ લીધો છે. રખડતા ઢોરની અડફેટમાં આવતા યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. આથી ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ભાવિન પટેલને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયું હોવાનું તબીબી રિપોર્ટમાં સામે આવ્યું હતું. જોકે અંતે યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત ભાવિન પટેલનું મૃત્યુ થયું છે. આથી, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પરિવાર માંગ કરી રહ્યો છે. AMCની ઘોર બેદરકારીના કારણે ભાવિન પટેલના પરિવાર માથે આભ તૂટી પડ્યું.
આજે મારો 38 વર્ષનો ભાઇ જતો રહ્યો, શું એ લોકોને ભાન નથી પડતું: બહેન મેઘલ અમિન
આ અંગે મૃતક ભાવિન પટેલના બહેન મેઘલ અમિનનું કહેવું છે કે, 'મારા ભાઇનો ગાય અથડાવાના કારણે અકસ્માત સર્જાયો છે. સરકારને કહો કે આ ગાયને અહીંથી કાઢે. રબારીને કહો કે અહીંયાથી નીકળી જાય. એના કરતા મ્યુનિસિપાલિટીને કહો કે ગાયોને અહીંથી કાઢે. અહીંયા ગાયો જોઇએ જ નહીં. મારો ભાઇ આજે જતો રહ્યો છે. શું સરકારને ખબર નથી પડતી કે આ ગાયોને અહીંથી કાઢવી જોઇએ. અમે લોકો મ્યુનિસિપાલિટી સામે કેસ કરવા માંગીએ છીએ. ગાયોને અહીંથી હટાવો અમારી આગળથી. આજે મારો 38 વર્ષનો ભાઇ એક્સપાયર્ડ થઇ ગયો છે. બે નાની દીકરીઓ છે ઘરમાં, એનું ભરણપોષણ કોણ કરશે. એ લોકોને ભાન નથી પડતું. અમને ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફે તો હેલ્પ કરી પણ આ રોડ પર રખડતી ગાયોનું શું કરવાનું? એને બસ અહીંથી કાઢો.
જ્યારે કાકાનું કહેવું છે કે, 'એને બે નાની છોકરીઓ છે. આ કોના ત્રાસના હિસાબે થયું. અમે ફરિયાદ તો નહીં કરીએ પણ રખડતા ઢોર થોડા ઓછા થાય એના માટે હું એવું કહેવા માંગુ છું કે, રખડતા ઢોર ઓછા થાય.'
સળગતા સવાલ
રસ્તે રખડતા પશુઓને પકડવાની કામગીરી ફક્ત કાગળ પર?
હાઇકોર્ટની અનેક ફટકાર બાદ પણ AMC ઘોર નિંદ્રામાં?
ક્યાં સુધી લોકો રખડતા પશુનો ભોગ બનતા રહેશે?
જનતાને રખડતા પશુના ત્રાસથી ક્યારે મળશે રાહત?
ક્યાં સુધી માત્ર દેખાડા માટે કાર્યવાહી કરાશે?
શું તંત્રને યોગ્ય કાર્યવાહી કરવામાં રસ જ નથી?
શું તંત્રને લોકોના જીવની કોઇ પડી જ નથી?
તંત્ર દ્વારા કેમ રખડતા પશુને લઇ કાર્યવાહી નથી કરાતી?
હજુ કેટલા લોકો રખડતા પશુનો ભોગ બનશે
રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ કરનારા આ દ્રશ્યો કેમ નથી જોતા?
રાજ્યમાં રખડતા પશુ હજુ કેટલા લોકોનો જીવ લેશે?
તંત્રને કેમ લોકોના જીવની ચિંતા નથી?
સપ્ટેમ્બરમાં રાજ્યભરમાં રખડતા ઢોરના કારણે 471 લોકોના અકસ્માત થયા
અત્રે નોંધનીય છે કે, રાજ્યભરમાં સપ્ટેમ્બર મહિનામાં કુલ 471 લોકોના રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયા છે. આ 471 લોકોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં સોથી વધુ અમદાવાદમાં 52 લોકોના અકસ્માત થયા છે. જ્યારે અમરેલીમાં 17, આણંદમાં 8, અરવલ્લીમાં 17 લોકો, બનાસકાંઠામાં 21, ભરૂચમાં 10 અને ભાવનગરમાં 19 લોકોના અકસ્માત થયા છે.