ગાંધીનગરમાં મહેસાણાના કિન્નર સાથે ઈન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવેલા શખ્સે સોના-ચાંદીના દાગીના સહિત દોઢ લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ઘટના સામે છે. પ્રાથમિક વિગતો મુજબ મૂળ દિલ્હીના રીતિકા ઠાકુર નામના કિન્નર ઈન્સ્ટાગ્રામ થકી લાલસિંહ ડાભી સાથે સંપર્ક કેળવાયા બાદ બન્ને વચ્ચે ગાઢ સંબંધો પાંગર્યા હતા. જે બાદમાં લાલસિંહને ચાર મહિના અગાઉ દેવું થઈ જતાં તેણે રીતિકા પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત દોઢ લાખથી વધુની રકમ પડાવી હતી. જે પરત નહિ આપતા કિન્નરને છેતરાયાનું ભાન થયુ હતું.
આ ઘટનાની વિગતો જોઈએ તો પ્રાથમિક વિગતો મુજબ મૂળ દિલ્હીના રીતિકા ઠાકુર નામના કિન્નરે આજથી છ વર્ષ પહેલાં પોતાનું ઘર છોડી દીધું હતું અને બારડોલીમાં કિન્નરોના અખાડામાં રહેવા આવી ગયો હતો. જ્યારે તેના ગુરુ પૂનમ નાયક હતા. હાલ રીતિકા મહેસાણાના ખેરવા ગામે ખેત મજૂરી કરે છે. દોઢેક વર્ષ અગાઉ રીતિકાને ઈન્સ્ટાગ્રામ થકી લાલસિંહ ડાભી સાથે સંપર્ક કેળવાયા બાદ બન્ને વચ્ચે ગાઢ સંબંધો પાંગર્યા હતા. લાલસિંહને ચાર મહિના અગાઉ દેવું થઈ જતાં તેણે રીતિકા પાસે મદદ માગી હતી.
મિત્રતામાં છેતરપિંડી
આ તરફ રીતિકાએ લાલસિંહને પોતાની બે તોલાની સોનાની બુટ્ટી, બે તોલાનો સોનાનો દોરો, એક કિલો ચાંદીના છડા તેમજ પોતાની બચતના દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે સમય જતાં વાયદા મુજબ રીતિકાએ પોતાના દાગીના અને પૈસાની માગણી કરતાં લાલસિંહે હાથ અદ્ધર કરી દેતાં પોતે છેતરાયા હોવાની જાણ થઈ હતી.