યુવકને અમેરિકા મોકલવાનું કહી એજન્ટોએ 50 લાખ પડાવ્યા, બાદમાં અમેરિકા નહીં મોકલતા એજન્ટે 50માંથી 5 લાખ જ પરત આપ્યા
અમેરિકા મોકલવાના નામે છેતરપિંડી
મહેસાણાના યુવકે 45 લાખ ગુમાવ્યા
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી
મહેસાણામાં અમેરિકા મોકલવાની લાલચમાં વધુ એક યુવક છેતરાયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આ યુવકને અમેરિકા મોકલવાનું કહી એજન્ટોએ 50 લાખ પડાવ્યા હતા. જોકે બાદમાં અમેરિકા નહીં મોકલતા એજન્ટે 50માંથી 5 લાખ જ પરત આપ્યા હતા. જેથી બાકીના 45 લાખ પરત નહિ આપતા હવે બે ઈસમ વિરુધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
અમેરિકા જવાની લ્હાયમાં રૂપિયા 45 લાખ ગુમાવ્યા
આ ઘટનાની વિગત એવી છે કે, મહેસાણાના લીંચ ગામના દિનેશ પટેલને પોતાના દીકરાને અમેરિકા મોકલવાનો હોઇ બે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. આ તરફ જીનલ પટેલ અને કલ્પેશ વ્યાસ ણામના ઇસમોએ દિનેશભાઈ પટેલને વિશ્વાસમાં લઈ લીધા બાદ તેમના દીકરાને અમેરિકા મોકલવા માટે 50 લાખ પડાવ્યા હતા. જોકે કોઈ કારણથી તેમના દીકરાને અમેરિકા નહીં મોકલતા તેઓએ પૈસા પરત માંગ્યા હતા.
45 લાખ ન આપતા નોંધાવી ફરિયાદ
આ દરમ્યાન દિનેશભાઈ પટેલે આરોપીઓ પાસે 50 લાખ પરત માંગતા તેમણે માત્ર 5 લાખ જ પરત આપ્યા હતા. જોકે બાકીના 45 લાખ પરત નહીં આપતા આખરે કંટાળી તેમણે આરોપીઓ સામે 45 લાખની છેતરપિંડીની લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી લાંઘણજ પોલીસ મથકના એસ.બી.ઝાલાએ ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં જ લોકોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારો એજન્ટ ઝડપાયો
અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડીંગુચા ગામનું નામ આખીય દુનિયામાં ચર્ચામાં આવી ગયું છે. ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની તાજેતરમાં જ ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ SMCએ બોબી પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને તપાસ કરી હતી. આ દરમિયાન SMCએ મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા.
બોબી પટેલ વિરુદ્ધ વિઝા કૌભાંડના નોંધાયા ગુના
યુએસ-કેનેડા બોર્ડર પર ગત 19 જાન્યુઆરીએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં ભારે ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામેલાં એક બાળક સહિતની ચારેય વ્યક્તિ ગુજરાતના ડિંગુચા ગામની હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) કરી હતી. આ અંગેની માહિતી તેમણે ભારતના હાઈ કમિશનને આપી હતી. જે બાદ ભારતના હાઈકમિશને જણાવ્યું હતું કે કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકના મૃતદેહોની ઓળખ કરી લીધી છે.