"ભક્તિનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ" આ વાત વીતેલા યુગમાં જેટલી લાગું પડતી હતી તેટલી આજે પણ પડે છે. ઉલટાની વર્તમાન સમયમા વધારે લાગુ પડે છે. દુ:ખી હોઈએ ત્યારે ઈશ્વર યાદ આવી જવા એ જુદી વાત છે પરંતુ સુખની છોળો વચ્ચે પણ હૈયે ભગવાનનો વાસ રહેવો તે કોઈ નિરાળી જ વાત છે અને આ સદભાગ્ય દરેકને નથી સાંપડતું. કોઈ વિરલા જ આ સંપદાના હકદાર બને છે. આવી જ હકદાર બની છે મોડાસાની એક સીએ થયેલી યુવતી જેણે સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવવાનો રાહ પકડી લીધો છે. જોઈએ મોક્ષના પથ પર પ્રયાણનો આ અહેવાલ.
મોડાસાની રહેવાસી અને ચાર્ટર્ડ એકાઉન્ટ થયેલી ધ્વનિ સમીરભાઈ શાહ આગામી 10માર્ચના રોજ સંસાર ત્યાગી સંયમના માર્ગે જવા સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરશે. જેની પહેલાની વિધિ તરીકે મોડાસામાં ધ્વનિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભા યાત્રામાં તેણે અનેક વસ્તુઓની ઉછામણી કરી કે જે મેળવવા આપણે હમેંશા તલપાપડ હોઈએ છીએ પરંતુ જેને ગુરજ્ઞાનની ધ્વનિ સંભળાઈ છે તેને મન આ બધી ચીજો કશું નથી.
ધ્વનિ શાહે સીએ થયા બાદ પણ સંસાર ત્યાગ કરી હવે સન્યાસી થવાનો માર્ગ પસંદ કર્યો છે. તેનું માનવું છે કે સંયમના માર્ગમાં જે સુખ મળવાનું છે તે સુખ કરોડો રૂપિયા હોવા છતાં પણ સંસારમાં મળવાનું નથી અને આ જ વિચારે તેણે દીક્ષા ગ્રહણ કરી મુમુક્ષુ બનવાનું નક્કી કર્યું છે. ધ્વનિએ આ માર્ગે જવામાં તેના પરિવારજનો સહિત માતા પિતાનો મોટો સાથ સહકાર હોવાનું પણ જણાવ્યું હતું.
આમ તો કોઈ પિતા કોઈ પિતા જ્યારે દીકરીને સાસરે વળાવે ત્યારે પિતાની આંખ ભીંજાઈ જતી હોય છે પરંતુ આ પુણ્યશાળી પિતા દીકરીને ભવબંધન માથી મુક્ત કરી દે તેવા સંયમના માર્ગે રાજીખુશીથી વિદાયમાન આપી રહ્યા છે. ત્યારે સ્વભાવિક છે કે પિતાની આંખમાં આંસુ નહીં પરંતુ અંતરનો રાજીપો ચળકતો હશે. કેમ કે એમની દીકરીએ તો સંસારની શૈક્ષણિક સિદ્ધિ તો પિતાના ચરણે ધરી દીધી છે હવે સંયમના માર્ગે પરમસિદ્ધિને પામવા તે જ્યારે ડગ ભરી રહી છે ત્યારે પિતા સમીરભાઈ પણ તેને અંતરના આશીર્વાદ આપી રહ્યા છે.
આજના ટેકનોલોજી અને વિજ્ઞાનના પ્રતાપે સરળ થયેલું જીવન છોડીને ગુરુ પ્રતાપે સંન્યસ્તના કઠણ જીવન તરફ પ્રયાણ કરવાનો વિચાર આવવો તે પણ એક ચમત્કાર જ છે. બાકી સંયમનો આ આ માર્ગ લોક કલ્યાણ માટે છે પરંતુ તે પથના પ્રવાસીની કદમ કદમ પર પરીક્ષા થયા વિના રહેતી નથી. મુમુક્ષુ ધ્વનિ તેમની યાત્રામાં સફળ રહે તેવા મુનિજનોના આશીર્વાદ તેમની સાથે હમેંશા રહેવાના જ.