નવસારીમાં અંગારા સાથે ખેલનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાસંદા તાલુકાના નિરપણ ગામનો છે. જ્યાં માવલી માતાની પૂજા દરમિયાન અંગારાનો ખેલ કરવામાં આવે છે. માવલી માતાની પૂજા બાદ લોકો સળગતા અંગારા ખાય છે અને સળગતા લાકડાને પોતાના શરીર પર મારે છે. પાકની કાપણી પહેલા માવલી માતાની પૂજા કરવાની આ ગામમાં પ્રથા છે.
નવસારીના આદિવાસી વિસ્તારના લોકોની પરંપરા
કુળદેવીને રીઝવવા અંગારા ખાય છે તો વળી ચાલે છે અંગારા પર
વર્ષો જુની પરંપરા દર વર્ષે બને છે આકર્ષણનું કેન્દ્ર
દેશની ભાષાઓ અને બોલીઓમાં વૈવિધ્ય દેશની વિશેષતા છે રુઢિઓ અને પરંપરાઓ દેશના લોકોની ઓળખ છે ત્યારે નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટા પર માવલી માતાની પુજા એક માતાને રીઝવવાના પર્વની સાથે અગ્રિન સાથે કરતબો કરવાનુ માધ્યમ બન્યુ છે શ્રધ્ધા અને અંધવિશ્વાસ સાથે જોડાયુ છે પરંતુ પરંપરાને આદિવાસીઓ આજે પણ આનંદ અને ઊલ્લાસથી ઊજવી રહ્યા છે.
અગ્નિનો એક તણખો શરીરને સ્પર્શે તો દઝાઈ ગયાનો ધાવ સહન કરવો મુશ્કેલ થઈ પડે છે જ્યારે આ જો કે, નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના લોકો અગ્નિની સાથે ગેલ કરી રહ્યા છે. જેમાં કોઈ સળગતા અંગારા ખાય છે તો કોઈ સળગતા અંગારા પર ચાલે છે, કોઈ સળગતા લાકડાને શરીર પર મારી રહ્યા છે આ કરતબો કરનાર લોકો છે.
કુળદેવીને રીઝવવા કરાય છે નાચગાન
નવસારી જિલ્લાના વાસદા તાલુકાના નિરપણ તથા આજુબાજુના ગામના લોકો ગામનો પરંપરાતગત માવલી માતાના તહેવારની ઊજવણી કરવામાં આવી રહી છે. આદિવાસીઓના કુળદેવી ગણાતા માવલી માતાને રીઝવવા માટે નાચગાન અને કરતબો કરી રહ્યા છે નાના ભૂલકાઓથી માંડીને ધરડાઓ સુધી ચક્રાકારે ફરીને નાચી રહ્યા છે જ્યારે કેટલાક યુવાનો ધુણવાની સાથે કરતબો પણ કરી રહ્યા છે.
જેના પરિવારમાં સમસ્યા હોય કે ધાન ન પાકતું હોય તો માવલી માતાની કરાય છે પૂજા
માવલી માતાની પુજા એ નવસારી, ડાંગ વલસાડ અને ગુજરાતને અડીને આવેલા નાસિક જિલ્લાના કેટલાક ગામોના આદિવાસીઓની વિશેષ પરંપરા છે જેમાં કોઈ પરિવારમાં ધાન ન પાકતું હોય પરિવારમાં સમસ્યાઓ વધી હોય તેવા સમયે માવલી માતાની પૂજા અને આરાધના કરવામા આવે છે. જેમાં 4 થી 5 ગામના લોકો ભેગા મળી માતાની પૂજા કરવાની સાથે વિવિધ પ્રકારના નાચગાન અને અગ્રિ દેવતા સાથે વિવિધ કરતબો કરે છે. વર્ષો જુની પરંપરાને આદિવાસીઓએ આજે પણ ટકાવી રાખી છે.
જુનવાણી પરંપરા આજે પણ અડીખમ છે આ ગામમાં
માવલી માતાની આરાધનાની પરંપરાની સાથે વિવિધ કરતબો સૌ કોઈ માટે આકર્ષણનુ કેન્દ્ર બન્યું છે ત્યારે આદિવાસીઓની શ્રધ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલી રુઢીઓમાં ક્યાંક અંધશ્રધ્ધાઓની ગંધ આવે છે પરંતુ ખેતરમા પાકતા અનાજને ઘરમાં લઈ જતા પહેલા કુળદેવીને ધરાવવાની જુનવાણી પરંપરાને આજે પણ આદિવાસીઓએ ટકાવી રાખી અને માવલી માતાની વિશેષ પૂજા સૌકોઈ માટે નવલુ નજરાણુ બની રહ્યું છે જેમા આગ સાથેના કરતબો સૌકોઈને નવાઈ પમાડે છે.